શાહરુખ-અજય બાદ હવે આમિર-અક્ષયની ટક્કર
મુંબઈ, 22 નવેમ્બર : હજુ થોડા દિવસ અગાઉ જ ફિલ્મની રિલીઝ અંગે બૉલીવુડના કિંગ ખાન શાહરુખ તેમજ એક્શન કિંગ અજય વચ્ચે જોરદાર જંગ છેડાયો હતો. અજયે યશરાજ બૅનર વિરુદ્ધ ફિલ્મની રિલીઝ અંગે દાદાગિરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યુ હતું કે તેઓ કહી રહ્યા છે કે ફિલ્મ જબ તક હૈ જાન માટે અજય દેવગણ પોતાની ફિલ્મ સન ઑફ સરદારની રિલીઝ ડેટ આગળ વધારી દે. જંગ એટલો વધી ગયો હતો કે અજય કોર્ટ પહોંચી ગયા હતાં, પરંતુ બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ અને સફળ રહી.
ફરી એક વાર બૉક્સ ઑફિસે આ જ પ્રકારનો નવો જંગ છેડાવા જઈ રહ્યો છે. આ વખતે બાથ ભીડશે આમિર ખાન અને અક્ષય કુમાર. તેમની ફિલ્મો એક જ સપ્તાહના અંતરે રિલીઝ થવાની છે. આમિરની તલાશ 30મી નવેમ્બર તેમજ અક્ષયની ખિલાડી 786 ફિલ્મ 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. તલાશ આમિર ખાનના હૃદયની ખૂબ જ નજીક છે, તો અક્ષય ફરી એક વાર પોતાના લકી ખેલાડી નંબર સાથે આવી રહ્યાં છે.
નોંધનીય બાબત એ છે કે બંને જ સિતારાઓ ફિલ્મના નિર્માતાઓ પણ છે. તેથી બંનેના પ્રયત્નો છે કે તેઓ પોતાની ફિલ્મ સારી રીતે રિલીઝ કરે. તેથી બંને સામ, દામ, દંડ, ભેદ સાથે પોતાની ફિલ્મ રિલીઝ કરવામાં જોતરાયેલાં છે. તલાશ એક થ્રિલર છે, તો ખિલાડી 786 એક મસાલા ફિલ્મ છે. આમિર સાથે કરીના કપૂર તથા રાણી મુખર્જી છે, તો અક્ષય સાથે અસીન નજરે પડશે.
લોકો કહે છે કે આમિર ખાન માર્કેટિંગના ઉસ્તાદ છે. તેથી અક્ષયે ભોં ભેગા થવું પડશે. જોઇએ લોકોની આ વાતમાં કેટલું તથ્ય છે. જોકે એટલું તો નક્કી જ છે કે અક્ષયની ફિલ્મ કરતાં લોકોને આમિરની ફિલ્મનો ઇંતેજાર વધુ હોય છે.