યશ ચોપરાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
મુંબઈ, 22 ઑક્ટોબર : લીજેન્ડ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાનો પાર્થિવ દેહ સોમવારે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું.
યશ ચોપરાનું ગઈકાલે સાંજે પાંચ વાગ્યે અવસાન થઈ ગયું હતું. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર બૉલીવુડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. અઠવાડિયા અગાઉ સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નની ખુશાલીમાં ઝુમેલું બૉલીવુડ યશ ચોપરાની વિદાયથી અચાનક જ શોકમગ્ન બની ગયું.
યશ ચોપરાની અંતિમ યાત્રામાં બૉલીવુડની તમામ મોટી હસ્તીઓ જોડાઈ હતી. ખાસ રીતે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાનનો સમાવેશ થાય છે. બપોરે ત્રણ વાગ્યે મુંબઈમાં ચંદનવાડી ખાતે આવેલ શ્મશાન ઘાટમાં યશ ચોપરાના પાર્થિવ દેહને તેમના મોટા પુત્ર આદિત્ય ચોપરાએ અગ્નિદાહ આપ્યો.
આ અગાઉ યશ ચોપરાના પાર્થિવ દેહને ચિતા પર મુકાતાં ઉદય ચોપરા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં. ઉદય ધૂમ 3ના શુટિંગ માટે વિદેશમાં હતો. પિતાના મોતના સમાચાર મળતાં જ તે સ્વદેશ પરત ફર્યો. તે પોતાના પિતાને જીવતાં ન જોઈ શક્યો.
યશ ચોપરાની અંતિમ યાત્રામાં રાણી મુખર્જી પણ હતાં. શ્મશાનમાં ઉદય ચોપરા અને રાણી મુખર્જી બંનેની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી, તો બિગ બી અમિતાભ બચ્ચન પણ આ નાજુક ક્ષણે પોતાના આંખોમાંથી આંસુ સરી પડતાં રોકી ના શક્યા હતાં. ઉદય ચોપરા એટલાં બધા અસ્વસ્થ અને અસહજ બની ગયા હતાં કે તેઓ તેમના માતા પૅમને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતાં.
અંતિમ યાત્રા અને શ્માશાનઘાટમાં અંત્યેષ્ટિ દરમિયાન અનેક વાર કરુણ દૃશ્યો સર્જાયા હતાં.
યશ ચોપરાની તબીયત 11મી ઑક્ટોબરની રાતથી જ થોડીક ખરાબ હતી. 12મીએ સવારે તેમની તબીયત વધુ લથડતાં 13મી ઑક્ટોબરે બપોરે તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમણે ગઈકાલે સાંજે છેલ્લા શ્વાસ લીધા હતાં. તેઓ 80 વર્ષના હતાં.
તેમનો જન્મ 27 સપ્ટેમ્બર 1932નાં રોજ લાહોર(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ફિલ્મ મેકીંગના પેશનને કારણે તે મુંબઇ આવી ગયા હતાં.જ્યાં આવીને તેમણે આઇએસ જોહરના સહાયક નિર્દેશક તરીકે ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેમના મોટાં ભાઇ બી.આર ચોપરાને આસીસ્ટ કરવા લાગ્યા હતાં. યશજીએ સ્વતંત્ર નિર્દેશક તરીકે 'ધુલ કા ફુલ'(1959) ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી.
યશજીના પાર્થિવ દેહને હોસ્પિટલથી સીધા તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો. પછીથી તેમના મૃતદેહને યશરાજ સ્ટુડિયોમાં લઈ જવામાં આવ્યો હતો. અહીંથી જ તેમની અંતિમ યાત્રા નિકળી હતી. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને યશજીના પાર્થિવ દેહને રથમાં લઈ જવાને બદલે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. તેમનો પાર્થિવ દેહ વાયઆરએફ સ્ટુડિયોમાં લોકોના અંતિમ દર્શનાર્થે લવાયો હતો. ત્યાં સ્ટાર્સથી માંડી સામાન્ય માણસોએ યશ ચોપરાના પાર્થિવ દેહના દર્શન કર્યા હતાં.
યશ ચોપરાનો પાર્થિવ દેહ વાયઆરએફ સ્ટુડિયોમાં રાખવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શનાર્થે ભારે સંખ્યામાં લોકો આવ્યા હતાં. સ્ટાર્સથી લઈને સામાન્ય માણસ યશજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતાં.
ભારતીય ફિલ્મોના આધાર સ્તંભોમાંના એક ગણાતા અને દેશને યાદગાર ફિલ્મો આપનાર કિંગ ઑફ રોમાંસના હુલામણા નામે જાણીતાં થયેલ યશ ચોપરાએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે હવે તેઓ ફિલ્મ નિર્માણમાંથી સંન્યાસ લેવાનાં છે. તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન છે કે જે આવતા મહીને રિલીઝ થવાની છે. ફિ્લ્મમાં શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા છે. સૌને આશા હતી કે આ ફિલ્મ પણ તેમની બાકીની ફિલ્મોની જેમ બહેતરીન હશે, પણ યશ ચોપરા આમ અધવચ્ચે જતાં રહેશે, એવી કોઈને અપેક્ષા નહોતી.
યશ ચોપરાના નિધનથી બૉલીવુડ ગમગીન બન્યું છે. અવસાનના સમાચાર મળતાં જ શાહરુખ ખાન, દિલીપ કુમાર, અનિલ કપૂર જેવા દિગ્ગજો લીલાવતી હૉસ્પિટલે પહોંચી ગયા હતાં. કોઈને વિશ્વાસન નહોતો થતો કે યશ ચોપરા આપણી વચ્ચે હવે નથી.
દિગ્દર્શક તરીકે તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન છે. તેમાં તેમણે પોતાના પુત્રની જેમ શાહરુખ ખાનને સ્ટાર કાસ્ટ કર્યા છે. આઠ ફિલ્મફૅર અને એક નેશનલ એવૉર્ડ જીતનાર યશ ચોપરા જતાં બૉલીવુડ દુઃખી અને હતપ્રભ છે.