ગુજરાતમાં આંદોલનોનો જુવાળ ભાજપ માટે ખતરનાક?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે, રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો, સામાજિક સંગઠનો અને પૂર્વ કર્મચારી સંગઠનો મેદાનમાં આવી ગયાં છે અને પોતાની માંગણીઓને લઇને સરકાર સામે બાંયો ચઢાવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે, રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો, સામાજિક સંગઠનો અને પૂર્વ કર્મચારી સંગઠનો મેદાનમાં આવી ગયાં છે અને પોતાની માંગણીઓને લઇને સરકાર સામે બાંયો ચઢાવી છે. ત્યારે, ભાજપની ભગિની સંસ્થા સમાન કિસાન સંઘ પણ ગાંધીનગરમાં ડેરા નાખીને આંદોલન કરી રહ્યુ છે. આ બધા આંદોલનોથી સરકારને ઘેરવાની વ્યૂહાત્મક રચનામાં ભાજપની જનતા પરની પકડ ઢીલી થતી દેખાઇ રહી છે.

ગત રોજ ગાંધીનગર ખાતે પૂર્વ સૈનિકો દ્વારા આંદોલન કરી રહેલા માજી સૈનિકો પર પોલીસે લાઠીચાર્જ કરી લોકોની જ્વાળાને વધુ ભડકાવી પણ છે. આ આંદોલનમાં એક માજી સૈનિકનું મોત થતાં રાજ્યમાં તંગદિલી સર્જાઇ ગઇ છે. જોકે, સરકાર દ્વારા આ મામલાને થાળે પાડવાના રાજકીય પ્રયાસ હાથ ધરાયા હતા તો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય લાભો ખાટવાના પ્રયાસ પણ થયા.
આ વિવિધ રાજકીય આંદોલનો સરકાર સામે પોતાની પડતર માંગણીઓને લઇને મેદાને પડ્યા છે. સામે, સરકાર પણ નજીકમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વધુ જોખમ લેવા માંગતી ન હોવાના કારણે શક્યતઃ પ્રશ્નો ઉકેલવાના પ્રયાસ કરી રહી છે. પોલીસ કર્મચારીઓ, રેવન્યૂ તલાટીઓ સહિતના લોકોની કેટલીક માંગણીઓ સંતોષાઇ છે. પરંતું, વર્ષોથી પડતર અનેક કર્મચારી સંગઠનોની માંગણીઓ સંતોષાઇ નથી. ખેડૂતોની વર્ષોથી પડતર માંગણીઓ પણ જૈસે થે જોવા મળી રહી છે.
છેલ્લા 27 વર્ષથી સત્તામાં રહેલા ભાજપના શાસનથી લોકોમાં નિરાશાનો સૂર પેદા થાય અને આ આંદોલનો જો કોઇ નવી રાજકીય જમીન તલાશી લે તો તેનો સીધો ફાયદો વિપક્ષી દળોને થઇ શકે છે. ભાજપને કર્મચારીઓનો ઘણો સપોર્ટ રહ્યો છે, જો આ આંદોલનોને કૂટનીતિથી નાથવામાં ભાજપ અસફળ રહેશે તો ભાજપને 2022ના સંગ્રામમાં મોટો ફટકો પડવાની સંભાવના નકારી શકાય નહીં.












Click it and Unblock the Notifications
