અમદાવાદમાં કોરોના વાયરસના નવા 3118 કેસ, 10 દર્દીના મોત
અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો હતો. કોરોનાના નવા 3118 કેસ નોંધાયા હતા. સતત બીજા દિવસે પણ શહેરમાં દસ કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા હતા. વળી, ગુરુવારે કોરોનાના 4397 દર્દીઓ રિકવર થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં માર્ચ 2020થી અત્યાર સુધીમાં કોરોનાના 3,63,911 કેસ નોંધવામાં આવ્યા છે. 3,37,421 લોકો રિકવર થયા છે અને કુલ 3534 લોકોના મોત થયા છે. હાલમાં એસવીપી હોસ્પિટલમાં કોરોનાના 99 જ્યારે ખાનગી હોસ્પિટલમાં 232 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગુરુવારે શહેરમાં નવા ચાર સ્થળો માઈક્રોકેન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં મણિનગરના એક સ્થળ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ડ્રાઈવઈન રોડના એક સ્થળ ઉપરાંત પશ્ચિમ ઝોનના નહેરુનગર અને ચાંદખેડાના એક-એક સ્થળને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા બાદ હાલમાં શહેરના કુલ 38 સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે.
રસીકરણની વાત કરીએ તો અમદાવાદ શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ગુરુવારે 3243 લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ, 19258 લોકોને રસીનો બીજો ડોઝ આપવા ઉપરાંત 3873 લોકોને પ્રિકોશન ડોઝ તેમજ 15થી 18 વર્ની વયના 1113 બાળકોને પહેલો ડોઝ અને 10204 બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.