અમદાવાદના પેટ્રોલ પંપો પર ઈંધણની અછત, શહેરીજનો મુશ્કેલીમાં
આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વધતા ભાવોને કારણે અમદાવાદના ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલના પુરવઠાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વધતા ભાવોને કારણે અમદાવાદના ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલના પુરવઠાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે શહેરીજનોને મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના પેટ્રોલ પંપ ડીલરોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી સામાન્ય સપ્લાયના માત્ર 50% જ મેળવી રહ્યા છે. તેમણે કહ્યુ કે પેટ્રોલ સ્ટેશનો ઓછા પુરવઠાને કારણે અડધા દિવસના વેચાણનુ ભાગ્યે જ સંચાલન કરી રહ્યા છે તેમજ HPCL અને BPCLને પૂરતો પુરવઠો જાળવવા વિનંતી કરી છે.
પેટ્રોલ પંપના માલિકોના જણાવ્યા મુજબ તેમને ભાગ્યે જ 50% દૈનિક પુરવઠો મળી રહ્યો છે. તેમનુ કહેવુ છે કે તેમનો દૈનિક પેટ્રોલનો વપરાશ આશરે 30,000 લિટર છે પરંતુ તેમને HPCL પાસેથી આજની તારીખે માત્ર 10,000 થી 15,000 લિટર જ મળ્યુ છે. તેમને કહેવામાં આવ્યુ છે કે અનિયમિત સપ્લાયનુ કારણ કંપનીઓ દ્વારા મોંઘવારીનો સામનો છે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થયેલા વધારાને કારણે ભાવ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બંને માટે આ તફાવત રૂ. 18-20 પ્રતિ લિટર હોવાનું કહેવાય છે. સરકારે ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો હોવાથી પુરવઠા પર અંકુશ મૂકવામાં આવ્યો છે એમ સૂત્રોએ જણાવ્યુ હતુ.
એચપીસીએલ અને બીપીસીએલ પેટ્રોલ પંપ અછતનો સામનો કરી રહ્યા હતા ત્યારે શહેરમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ) ડીલર પંપોને પુરવઠાની કોઈ સમસ્યાની જાણ ન હતી. એક IOCL પંપ ડીલરે નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, 'અમદાવાદ જેવા શહેરોમાં આવતા 'ક્લાસ A' પેટ્રોલ પંપ હજુ સુધી અસરગ્રસ્ત નથી. જો કે, નાના શહેરોમાં IOCLના 'ક્લાસ B' અને 'Class C' ડીલર પંપોએ પુરવઠાની અછત અનુભવવાનું શરૂ કર્યું છે.' તેમણે કહ્યુ કે રાજ્યભરમાં તેમના IOCL ડીલરો પુરવઠાના સંદર્ભમાં HPCL અને BPCLની સરખામણીમાં સારી સ્થિતિમાં છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન (FGPDA)ના પ્રમુખ અરવિંદ ઠક્કરે પુરવઠાની તંગી હોવાની વાત સ્વીકારી છે. તેમણે જણાવ્યુ હતુ કે, 'શહેરના ઘણા પેટ્રોલ પંપ ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે. આમાં HPCL અને BPCL બંને પંપનો સમાવેશ થાય છે. શહેરમાં IOCL પંપ હાલમાં કોઈ અછતનો સામનો કરી રહ્યા નથી.' સૂત્રોના જણાવ્યા મુજબ એસોસિએશન તેના આગામી પગલાં પર વિચાર કરી રહ્યુ છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના પુરવઠાની તંગી તેમના વ્યવસાયને અસર કરી શકે છે અને લોકો તેમના પંપ પરની સેવાઓમાં વિશ્વાસ ગુમાવી શકે છે. તેઓ આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે.