અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં 49માંથી 38 દોષિતોને મોતની સજા, 11ને આજીવન કેદ
અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે.
અમદાવાદઃ અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતોની સજાની 14 ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આજે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે. પ્રોસીક્યુશને મુખ્ય દલીલ એ કરી હતી કે આ એક આતંકી કૃત્ય છે જે સાબિત થયુ છે અને તે રેરેસ્ટ ઑફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈજાઓ પામ્યા છે. તેમના પરિવારજનોની સ્થિતિ કોર્ટ ધ્યાનમાં લે.
વળી, તેમણે એ પણ દલીલ કરી હતી કે હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધ યુદ્ધ પુરવાર થયુ છે. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓ પર કોઈ રહેમ ના રાખવી જોઈએ. આની સામે બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીઓને સુધારાનો અવકાશ આપો. કોર્ટે સજા કરતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતને ધ્યાનમાં લેવી જોઈએ. જેલ ડિસિપ્લિન એ મહત્તમ સજાનુ પાસું ના હોઈ શકે પરંતુ લઘુત્તમ સજા માટે કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ.
દેશના ઈતિહાસમાં આ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કેસમાં 26ને ફાંસી આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્ય પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલોમાં બંધ છે. મૃતકોને 1 લાખ રૂપિયાનુ વળતર, ઈજાગ્રસ્તને 50 હજારનુ વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનુ વળતર આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં 9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
અમદાવાદમાં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી કેદ છે. તમામ આરોપીઓને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી હાજર રાખવામાં આવ્યા હતા. જેલમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે વીડિયો કૉન્ફરન્સિંગથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ, 2008ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટમાં પોલિસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપી સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે. જ્યારે હજી આ કેસમાં 8 આરોપી એવા છે જેમને પોલિસ શોધી રહી છે. આ કેસનો મુખ્ય સૂત્રધાર યાસિન ભટકલ દિલ્લીની જેલમાં, જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચિનની જેલમમાં છે.