અમદાવાદ સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં આજે દોષિતોને સજા સંભળાવશે સ્પેશિયલ કોર્ટ
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે સજાનુ એલાન કરશે.
અમદાવાદઃ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે સજાનુ એલાન કરશે. 49 દોષિતોને કોર્ટ સજા સંભળાવશે. 9 ફેબ્રુઆરીના રોજ સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આવ્યો હતો અને 2008માં અમદાવાદને લોહી લુહાણ કરનાર 49 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.15 ફેબ્રુઆરીના રોજ તમામ પક્ષે સુનાવણી પૂરી થઈ હતી. વિશેષ અદાલતે દોષિતો અને બચાવ પક્ષો બંનેને સાંભળ્યા હતા. આજે સજાનુ એલાન થવાનુ છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં 9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
અમદાવાદમાં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી કેદ છે. તમામ આરોપીઓને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી હાજર રાખવામાં આવ્યા હતા. જેલમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે વીડિયો કૉન્ફરન્સિંગથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ, 2008ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટમાં પોલિસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપી સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે. જ્યારે હજી આ કેસમાં 8 આરોપી એવા છે જેમને પોલિસ શોધી રહી છે. આ કેસનો મુખ્ય સૂત્રધાર યાસિન ભટકલ દિલ્લીની જેલમાં, જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચિનની જેલમમાં છે.