Ahmedabad : અમદાવાદનો સાબરમતિ પરનો સુભાષ બ્રિજ તાત્કાલિક બંધ કરાયો, જાણો કેમ?
અમદાવાદમાં આવેલા સુભાષ બ્રિજને અચાનક જ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સમારકામ દરમિયાન તેમાં ખામી જણાતાં આ મહત્ત્વપૂર્ણ બ્રિજને આગામી પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનો મધ્યભાગ બેસી જતાં આ સ્થિતિ સર્જાઈ છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા તાત્કાલિક ધોરણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ ઘટના બાદ AMCના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર સહિતના પદાધિકારીઓએ સ્થળ પર પહોંચી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
આ નિર્ણય અચાનક લેવાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિજ બંધ થવાને કારણે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, જેના લીધે મુસાફરોને વૈકલ્પિક માર્ગો શોધવા પડ્યા હતા. AMCએ લોકોને આગામી પાંચ દિવસ માટે અન્ય રૂટનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
આ સુભાષ બ્રિજનો ઇતિહાસ ઘણો જૂનો છે, જેનું નિર્માણ 1973માં થયું હતું. તે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતા એક મહત્ત્વપૂર્ણ કડી સમાન છે. આ બ્રિજનો દૈનિક ઉપયોગ કરતા હજારો વાહનચાલકો અને નાગરિકોને હવે લાંબા અંતરનો પ્રવાસ ખેડવો પડશે.
વધુ તપાસ માટે આવતીકાલે સવારના સમયે ડ્રોન દ્વારા બ્રિજનો સર્વે હાથ ધરવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ બ્રિજની ફિટનેસનું સંપૂર્ણપણે મૂલ્યાંકન કરવામાં આવશે. AMCના સત્તાવાર નિવેદન મુજબ, સમારકામ અને સુરક્ષા ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજ પરિવહન માટે બંધ રહેશે.












Click it and Unblock the Notifications
