કાંકરિયા ખાતે બોટિંગ અને સાબરમતી રિવરફ્રન્ટમાં પણ ક્રુઝ બંધ કરાયું
Sabarmati Riverfront : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ અમદાવાદ શહેરના કાંકરિયા તળાવમાં તમામ બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનો આદેશ જાહેર કર્યો છે.
નાગરિક સંસ્થાએ સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રુઝની કામગીરીને પણ અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા પ્રસ્તાવિત સલામતીનાં પગલાંને સમાવીને નવો કરાર ન થાય ત્યાં સુધી આ પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીએ AMCને નવા કોન્ટ્રાક્ટની વિગતો પૂરી પાડવા વિનંતી કરી હતી, જેમાં બોટિંગ ઓપરેટરોને સુરક્ષાના વધારાના પગલાં સામેલ છે. જો કરારો પર સહી ન થાય તો તળાવોમાં બોટિંગની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવાની પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.

જે બાદ કાંકરિયા લેકફ્રન્ટ ઓફિસે ખોડલ કોર્પોરેશનને પત્ર મોકલીને તળાવમાં નૌકાવિહાર અને અન્ય વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓને હંગામી ધોરણે અટકાવવા વિનંતી કરી હતી.
વડોદરાના હરણી તળાવમાં બોટની દુ:ખદ ઘટના બાદ શરૂ કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં PILની ચાલી રહેલી કાર્યવાહીના જવાબમાં આ પગલાં લેવામાં આવ્યા છે. આગામી સુનાવણી આજે યોજાનાર છે, અને સરકારે આ બાબતે કાર્યવાહી હાથ ધરવાનો અહેવાલ રજૂ કરવો જરૂરી છે.
અત્રે નોંધનીય બાબત છે કે, 20 એપ્રિલના રોજ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ, ખેડા, ડાંગ, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, નર્મદા, સુરત અને ભાવનગરના કલેક્ટરોને તમામ 18 સ્થળોનું નિરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો હતો.
અહિંયા બોટિંગની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જો કોઈ ખામી હોય તો, તેમને પ્રવૃત્તિઓ સ્થગિત કરવા અને ગૃહ વિભાગને વિગતવાર અહેવાલ પ્રદાન કરવા સૂચના આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
