ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના ઉસ્માનીના 16 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર, મળ્યા લાખોના ટ્રાન્ઝેક્શન
ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીના 16 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદઃ ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીના 16 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. માહિતી મુજબ ઉસ્માનીને સોમવારે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે 16મીએ બપોર સુધીના રિમાન્ડ મંજૂર કરી દીધા છે.
ગુજરાત એટીએસની ટીમ દ્વારા કમર ગની ઉસ્માની અને અસીમ સમાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસના માસ્ટર માઈન્ડ કમર ગની ઉસ્માનીના 11 લાખના બેંક ટ્રાન્ઝેક્શન પણ એટીએસને મળ્યા છે. જેથી રિમાન્ડ દરમિયાન એટીએસની ટીમ ઉસ્માનીને આ અંગે વધુ પૂછપરછ કરશે.
તમને જણાવી દઈએ કે ધંધુકામાં કિશન ભરવાડ નામના વ્યક્તિએ ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી. ત્યારબાદ શબ્બીર અને ઈમ્તિયાઝ નામના શખ્સોએ કિશનની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. શબ્બીર અને ઈમ્તિયાઝને ઉશ્કેરવામાં સૌથી મોટો ફાળો અમદાવાદના મૌલાના ઐયુબ અને દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીનો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે હત્યારા શબ્બીને મૌલાના ઐયુબ સાથે 35 વખત અને ઉસ્માની સાથે 10 વખત ફોન પર વાત કરી હતી.