ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપી મૌલવીના રિમાન્ડ બાદ થયા ચોંકાવનારા ખુલાસા
ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
અમદાવાદઃ ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધી 2 મૌલાના સહિત 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં મૌલાના મહમ્દ ઐયુબ જાવરાવાલા અને ફાયરીંગ કરનાર આરોપી શબ્બીર ચોપડા અને હત્યામાં સાથ આપનાર ઈમ્તિયાઝ પઠાણ જેમના આગામી 5 તારીખ સુધી કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. દિલ્લીથી પકડાયેલા આરોપી મૌલાના કમર ગની ઉસ્માની અને રાજકોટથી પકડાયેલ અઝીમ સમાને પણ કોર્ટે ગઈકાલે 7 ફેબ્રુઆરી સુધીની રિમાન્ડ મંજૂર કર્યા છે.
તમને જણાવી દઈએ કે ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ કેસ ગંભીર બની ગયો છે. જેના પગલે સરકાર દ્વારા સમગ્ર કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી છે. દિલ્લીના મૌલવી કમરગની ઉસ્માનીની ધરપકડ બાદ પૂછપરછ કરાતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલિસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે કટ્ટરવાદી મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાનના કરાંચીમાં આવેલા હેડ ક્વાર્ટર દાવત-એ-ઈસ્લામી નામના સંગઠન સાથે સંકળાયેલો છે. આ સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઈસ્લામિક એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ ચલાવી રહી છે. આ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટની આડમાં યુવાનોનુ બ્રેઈનવૉશ કરીને તેમને કટ્ટરવાદી અને હિંસક બનાવવામાં આવી રહ્યા છે.
દિલ્લીના મૌલવી કમરગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. મૌલાના ગઝવા-એ-હિન્દ નામના ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડા માટે કામ કરી રહ્યો છે. પાકિસ્તાનના કેટલાક આતંકવાદીઓ સાથે પણ મૌલાનાની સંડોવણી હોવાનુ બહાર આવ્યુ છે. અગાઉ ત્રિપુરામાં થયેલી હિંસર અથડામણમાં મૌલાના કમરગની ઉસ્માનીની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ મૌલવીની પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની શબ્બી અને ઈમ્તિયાઝ નામના શખ્શોએ ગોળી મારીને જાહેરમાં હત્યા કરી દીધી હતી. કિશન ભરવાડે પયગંબર બાબતે ધાર્મિક ટિપ્પણી કરતા ઘટના બની હોવાનુ સામે આવ્યુ છે.