ફ્લેશબેક 2020: જાણો અમદાવાદ માટે કેવુ રહ્યુ 2020નુ વર્ષ?
કોરોના મહામારીના કારણે અમદાવાદમાં દસ્તક દેતા હંમેશા ધબકતુ રહેતુ અમદાવાદ થંભી ગયુ. જાણો અમદાવાદ માટે કેવુ રહ્યુ 2020નુ વર્ષ?
અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર વિશ્વ માટે 2020નુ વર્ષ ખૂબ જ અણધાર્યુ રહ્યુ. માર્ચ મહિનાના મધ્ય બાદ કોરોના મહામારીના કારણે અમદાવાદમાં દસ્તક દેતા હંમેશા ધબકતુ રહેતુ અમદાવાદ થંભી ગયુ. કોરોના મહામારીના કારણે 25 માર્ચથી લાગુ કરાયેલ લૉકડાઉનમાં શહેરની ઓળખ સમા એસ જી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા સહિતના વિસ્તારો સૂમસામ બની ગયા હતા. શહેરને જીવંત રાખનાર સેવાઓ અટકી ગઈ. એએમટીએસ અને બીઆરટીએસ જેવી પરિવહન સેવા પૈડા થંભી ગયા. વડાપ્રધાન મોદીના આહવાન બાદ 23 માર્ચના રોજ જનતા કર્ફ્યુમાં અમદાવાદ પણ જોડાયુ. કોરોના મહામારી સામે લડતા આપવા અમદાવાદીઓએ જુસ્સો દર્શાવી 14 કલાક માટે ઘરમાં રહી પોતાની મક્કમતાનો પરિચય આપ્યો. પ્રધાનમંત્રી મોદીએ 25 માર્ચથી 21 દિવસના દેશના પ્રથમ લૉકડાઉનના નિર્ણયની જાહેરાત કરી. કોરોનાનો પ્રભાવ ધીમે ધીમે વધતો ગયો. એક તરફ સૂમસૂમ માર્ગો પર પોલિસનો ચૂસ્ત બંદોબસ્ત જ્યારે બીજી તરફ જાહેર રસ્તાઓ, ગલીઓ, પોળ અને સોસાયટીઓેને સેનિટાઈઝ કરી રહેલ ફાયર વિભાગના કર્મીઓ જોવા મળતા હતા.
Recommended Video
સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવિડ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાઈ
અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ 20 માર્ચના રોજ સામે આવ્યો હતો. ધીમે ધીમે એક આંકડાના દૈનિક કેસ બે અને ત્રણ આંકડામાં નોંધાવા લાગ્યા. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંકુલમાં 1200 પથારીની સુવિધાવાળી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી. આ ઉપરાંત એસવીપી હોસ્પિટલ સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરવામાં આવી. વધી રહેલા કોરોના કેસોએ અમદાવાદીઓને અણધારી આફતમાં લાવી દીધા. પરંતુ કોરોના યોદ્ધાઓ એટલે કે ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ, પોલિસકર્મીઓ, સફાઈકર્મીઓ, ફાયરબ્રિગેડ, કોરોનામાં તૈનાત સરકારી કર્મચારીઓ અને આરોગ્ય તંત્રના કર્મચારીઓએ દર્શાવેલા જુસ્સાએ અમદાવાદીઓમાં નવો વિશ્વાસ જગાવ્યો. બીજી તરફ કોરોના યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે એરફોર્સ દ્વારા સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર પુષ્પવર્ષા કરવામાં આવી.
લૉકડાઉન લાગુ કરતા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો
કોરોના કાળ દરમિયાન લૉકડાઉન લાગુ કરતા પોલિસ વિભાગ દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ઉંચી ઈમારતો અને અંતરિયાળ વિસ્તારમાં ડ્રોનની મદદથી કર્ફ્યુ ભંગ કરતા લોકો પર નજર રાખવામાં આવી. ઈતિહાસમાં પ્રથમ વખત નહેરુ બ્રીજ અને એલિસબ્રિજને બંધ કરવામાં આવ્યા. આ દરમિયાન અમદાવાદ શહેર અને ગ્રામ્ય વચ્ચે 8 ચેક પોસ્ટ ઉભી કરી શહેરમાં અવર-જવર કરતા લોકોનુ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યુ. કોરોના લૉકડાઉનમાં જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ થાય તે માટે શાકભાજી બજાર ખુલ્લા પ્લોટમાં શરૂ કરવામાં આવ્યા. સુપર સ્પ્રેડર એવા ફેરિયાઓની ઓળખ કરી તેમના માટે નિયમો બનાવવામાં આવ્યા. નવરંગપુરામાં આવેલી શ્રેય કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં આઠ જેટલા કોરોના દર્દીઓના મોત નીપજ્યા હતા. વળી, ક્યાંક ખાનગી હોસ્પટલો વધુ બિલ પધરાવતી હોવાને લઈને હોબાળો જોવા મળ્યો. લૉકડાઉન લાગુ કરતા અમદાવાદથી પરપ્રાંતીયોએ વતન જવા માટે દોડ લગાવી. કેટલાક લોકો જે વાહન મળ્યુ તેમાં વતન જવા નીકળી ગયા જ્યારે કેટલાક લોકોએ પગપાળા જ પોતાના વતનની વાટ પકડી. બીજી તરફ અમદાવાદમાં જ રહી ગયેલા પરપ્રાંતીયો શ્રમિકો માટે શહેરમાં ઠેર-ઠેર ભોજન સુવિધા શરૂ કરવામાં આવી. સામાજિક અને સરકારી સંસ્થાઓએ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારવાનુ બીડુ ઝડપ્યુ.
પીએમ મોદીએ અમદાવાદમાં ઝાયડસ કેડિલાની મુલાકાત લીધી
કોરોનાને નિયંત્રણમાં લેવા એક પછી એક ચાર લૉકડાઉન જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ પહેલી જૂનથી અનલૉક 1થી કેટલીક છૂટછાટ સાથે લૉકડાઉનનો અંત આવ્યો. ત્યારબાદ ધીમે ધીમે અમદાવાદમાં કોરોનાના ભય હેઠળ જનજીવન સામાન્ય બનતા સૂમસામ રસ્તાઓ પર ફરીથી ધમધમાટ જોવા મળ્યો. અમદાવાદીઓ કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે ઠેર-ઠેર કોરોના ટેસ્ટીંગ ટેન્ટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. કોરોના કાળના લીધે ગુજરાતની ઓળખ સમો નવરાત્રિ મહોત્સવ પણ મોકૂફ રાખવામાં આવ્યો. દિવાળીનો તહેવાર પણ કેટલીક મર્યાદાઓ સાથે ઉજવવામાં આવ્યો. જેની પ્રતિકૂળ અસર વેપારીઓના ધંધા-રોજગાર પર જોવા મળી. દિવાળી બાદ શહેરમાં કોરોનાના કેસ વધતા 19 નવેમ્બરની રાતે 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો. જો કે કોરોનાના કેસમાં નવેમ્બર મહિનાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. 28 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના ચાંગોદરમાં આવેલી ઝાયડસ કેડિલાની મુલાકાત કરીને કોરોના વેક્સીન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમદાવાદમાં વેક્સીનેશનના કાર્યને લઈને AMC દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી. અમદાવાદીઓને વેક્સીન આપવા માટેની પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. આશા રાખીએ કે આવનારુ 2021નુ વર્ષ અમદાવાદીઓ માટે આરોગ્યપ્રદ અને સુખમય નીવડે.