નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ આગામી વર્ષથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ નહિ થાય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં આગામી વર્ષથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવશે તેવી ચર્ચા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થઈ રહી હતી. જો કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. આ પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે. દેશમાં આગામી દિવસોમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવાની છે ત્યારે આ નવી વ્યવસ્થામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કાઢી નાખવામાં આવશે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો. વાલીઓમાં ગેરસમજ ન ઉભી થાય તે માટે શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે.
બોર્ડના જણાવ્યા મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. વર્તમાન મૂલ્યાંકન પ્રણાલીની નુકશાનકારક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિગત હિતોના આધારે ઘણા વિષયોમાથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદ કરી શકશે. બોર્ડની પરીક્ષાઓ સરળ બનાવવામાં આવશે.
નવી શિક્ષણ નીતિમાં પણ બોર્ડની પરીક્ષા દૂર કરવા અંગેની કોઈ જોગવાઈ નથી. આ પરીક્ષા જેમ છે તેમ જ લેવામાં આવશે. વિદ્યાર્થીઓ વધારાની સુધારણા પરીક્ષા આપી શકશે. આ સિવાય માર્કશીટ જમા કરાવીને નવી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જો કે, આ બંને વ્યવસ્થા ગુજરાતમાં અગાઉથી જ ચાલુ છે તેમ સંયુક્ત નિયામક બીએન રાજગોરે જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ગયા વર્ષે આ સમયગાળામાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી હતી તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવાના બદલે માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતુ.