અમદાવાદમાં ધોરણ 12 બોર્ડની ચાલુ પરીક્ષામાં ખેંચ આવતા વિદ્યાર્થીનુ મોત
બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ અમદાવાદમાં એક દુઃખદ ઘટના સામે આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ ગઈ છે. જો કે, બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ અમદાવાદમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ધોરણ 12 કૉમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષામાં ઉલટી થઈ હતી. ખેંચ આવવાના કારણે તેને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યુ હતુ. વિદ્યાર્થીનુ મોત થતાં જ પરિવારના આક્રંદથી હોસ્પિટલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
તમને જણાવી દઈએ કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો અમાન આરીફ શેખ ધોરણ 12 કૉમર્સમાં અભ્યાસ કરતો હતો અને ગોમતીપુરની એસજી પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બોર્ડની પરીક્ષા માટે તે રખિયાલની શેઠ સીએલ હાઈસ્કૂલમાં ગયો હતો. અકાઉન્ટના પેપર માટે અમાન સ્કૂલે ગયો. પેપર આપ્યા બાદ અમાનને ઉલટી થઈ હતી અને પરસેવો શરૂ થઈ ગયો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ અમનને 4.30 વાગ્યા આસપાસ પેપર લખતી વખતે ઉલટી થઈ હતી. ઉલટી થયા બાદ ફરીથી તે પરીક્ષા આપવા માટે બેઠો હતો પરંતુ તેને ત્યાં પરસેવો થવા માંડ્યો હતો. વિદ્યાર્થીની તબિયત ખૂબ ખરાબ થઈ જતા પ્રિન્સિપાલે 4.38 કલાકે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. 108 એમ્બ્યુલન્સ 4.45એ સ્કૂલે પહોંચી હતી. એ વખતે 108ની ટીમે તપાસતા વિદ્યાર્થીની બ્લડપ્રેશર હાઈ આવ્યુ હતુ. જે બાદ તેને શારદાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ગંભીર હાલત પર વેંટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થીનુ મોત નીપજ્યુ હતુ.
સારવારના થોડા સમય બાદ અમાને દમ તોડી દીધો હતો. અમાનના નિધનથી પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી હોસ્પિટલના લોકો પણ ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2018માં પણ બોર્ડની પરીક્ષા વખતે ધોરણ 12ના વિદ્યાર્થીનુ ચાલુ પરીક્ષામાં ચક્કર આવી પડી ગયા બાદ તેનુ મોત નીપજ્યુ હતુ.