દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામના ૪૧ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરાઈ
દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે પોતાનું એક ઘર હોય. જોકે, ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ સ્વપ્ન માત્ર એક કલ્પના જ બની રહે છે. પરંતુ ગુજરાત સરકારની એક કલ્યાણકારી યોજનાએ આવા પરિવારો માટે આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે.
તાજેતરમાં અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામમાં 41 ઘરવિહોણા પરિવારોને વિનામૂલ્યે 100 ચોરસ વારના રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે, જેનાથી ઘરનું ઘરનું તેમનું સ્વપ્ન સાકાર થયું છે.

ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા કુટુંબોને વિનામૂલ્યે રહેણાંક પ્લોટ આપવાની યોજના શરૂ કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને સન્માનભેર જીવન જીવવાની તક આપવાનો છે.
આ યોજના હેઠળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરીને 41 લાભાર્થીઓને પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ, અને કબજા પાવતી સ્થળ પર જ આપવામાં આવ્યા.
સામાન્ય રીતે સરકારી પ્રક્રિયાઓમાં ઘણો સમય લાગતો હોય છે. પરંતુ આ કિસ્સામાં દસ્ક્રોઈ તાલુકા વહીવટી તંત્રએ માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી. ગ્રામ પંચાયતથી લઈને મહેસૂલ વિભાગ સુધીની સમગ્ર કામગીરી ઝડપી અને પારદર્શક રીતે પૂર્ણ કરીને લાભાર્થીઓને તેમના પ્લોટના દસ્તાવેજો સમયસર સોંપવામાં આવ્યા.
આ પ્લોટ માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ આ 41 પરિવારોના ભવિષ્યનો આધાર છે. હવે તેઓ પોતાના સપનાનું ઘર બનાવીને ગૌરવભેર જીવન જીવી શકશે.












Click it and Unblock the Notifications
