કોરોના પર સુઓમોટો જાહેરહિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે સરકારને ઝાટકી, રેમડેસિવિર વિશે કર્યા સવાલો
કોરોનાની બીજી લહેરને કારણે રાજ્યમાં ઉભી થયેલી ગંભીર સ્થિતિને સંભાળવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી હોવાના અહેવાલોની નોંધ લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
અમદાવાદઃ કોરોનાની બીજી લહેરને કારણે રાજ્યમાં ઉભી થયેલી ગંભીર સ્થિતિને સંભાળવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી હોવાના અહેવાલોની નોંધ લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી કારિયાની બેંચે સુઓમોટો પીઆઈએલની સુનાવણી દરમિયાન સરકારની કામગીરી સામે અનેક સવાલ કર્યા હતા. હાઈકોર્ટે કોવિડ-19 કેસોમાં થયેલા વધારા અને હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા અંગેના સત્તાવાર ડેટા પર સવાલ ઉઠાવીને કહ્યુ કે તે સંશાધનોનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી રહ્યા. વળી, ખંડપીઠે રેમડેસિવિર અંગે ચાલી રહેલી અફવાઓ પર ઓપન સ્ટેટમેન્ટ આપવા માટે કહ્યુ હતુ.

નાના જિલ્લાઓમાં આરટી-પીસીઆરની સુવિધા નથી
કોરોના પરની સુઓમોટો પીઆઈએલ પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે કહ્યુ કે ઘણા નાના જિલ્લાઓમાં આરટી-પીસીઆરની સુવિધા નથી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્ટે ફેબ્રુઆરીમાં કરેલા સૂચનોને દેખીતી રીતે જ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર કથળથી પરિસ્થિતિને લઈને ખૂબ જ સભાન છે પરંતુ ખંડપીઠે તેમને કહ્યુ કે કોર્ટે પહેલી વાર ફેબ્રુઆરીમાં સૂચનો કર્યા હતા અને રાજ્યને સ્થિતિને પહોંચી વળવા માટે કાર્યવાહી કરવા કહ્યુ હતુ. ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે ટેસ્ટિંગમાં વધારો અને પૂરતા બેડ સહિત ઘણા સૂચનો કર્યા હતા. ચીફ જસ્ટીસે વધુમાં કહ્યુ કે, આ તમામ સૂચનો પર તે સમયે ધ્યાન આપવામાં આવ્યુ નહિ પરિણામે અત્યારે આપણે કોવિડ-19ની આ સુનામીનો સામનો કરી રહ્યા છે. તમને નથી લાગતુ કે સરકારે ઓછા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ્યારે ઓછા કેસ હતા ત્યારે જ આ તરફ ધ્યાન આપ્યુ હોત તો સ્થિતિ વધુ સારી હોત?

કેન્દ્રએ બે વખત ગુજરાતમાં ટીમો મોકલી હતી
કેન્દ્રએ એક એફિડેવિટ કરીને જણાવ્યુ કે તેમણે બે વખત ગુજરાતમાં ટીમો મોકલી હતી અને ગુજરાતના ચીફ સેક્રેટરી અને ગુજરાત પ્રીન્સીપાલ સેક્રેટરી (આરોગ્ય)નુ હાઈ પોઝિટિવિટી રેટ(TPR)સહિત ઘણા મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યુ હતુ. એડીશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ દ્વારા કેન્દ્ર સરકારે 12 એપ્રિલે કરેલી એફિડેવિટમાં જણાવવામાં આવ્યુ હતુ કે TPRને 5 ટકાથી નીચે રાખવા માટે 70-30 RT-PCR-એંટીજન ટેસ્ટનો રેશિયો જાળવાવમાં માટે સૂચનો કરવામાં આવ્યા હતા. MOHFW ડેટા મુજબ 7 એપ્રિલથી 13 એપ્રિલ વચ્ચે RT-PCR ટેસ્ટ માત્ર 48 ટકા છે. કેન્દ્રએ એ પણ નોંધ્યુ કે RAT અને RT-PCR વચ્ચેનો દર જાળવવો ખૂબ જરૂરી છે કારણકે તે પોઝિટિવીટી રેટ પર પણ અસર કરે છે.

રાજ્ય તેના સંશાધનોનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી રહ્યુ
ત્રિવેદીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ટમાં હોસ્પિટલ બનાવવા માટે 15 દિવસ પહેલા યોજના બનાવી છે જે લેટેસ્ટ પીઆઈએલના રજિસ્ટ્રેશનથી ઝડપી બની છે. તેમણે કહ્યુ કે ટેસ્ટીંગ ઘટ્યા કારણકે નવેમ્બર પીક પછી સરકાર ઉપરાંત લેબોરેટરીએ પણ બધુ બરાબર છે એમ કહીને હળવાશમાં લેવા માંડ્યુ અને તેમણે ક્ષમતા ઘટાડી દીધી, રેમડેસિવિરના ઉત્પાદકોએ પણ ઉત્પાદન ઘટાડી દીધુ. એવુ નથી કે સરકાર સભાન નહોતી પરંતુ અમને લાગ્યુ કે સ્થિતિ અંકુશ બહાર જઈ શકે છે તેવો અહેસાસ થતા અમે દોડવાનુ શરૂ કર્યુ. હું ખાતરી આપુ છુ કે આપણે સૌ મળીને આ યુદ્ધ સામે લડીશુ. જો કે બેન્ચે નોંધ્યુ કે રાજ્ય તેના સંશાધનોનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી રહ્યુ.

રાજ્ય સરકાર રેમડેસિવિર પર એક ઓપન સ્ટેટમેન્ટ આપે
ચીફ જસ્ટીસે સવાલ કર્યો કે, રેમડેસિવિર ઉપલબ્ધ છે પરંતુ તમારા જણાવ્યા અનુસાર તેને સંગ્રહિત કરવામાં આવી રહી છે, કેમ? રેમડેસિવિર અંગે ઘણા ભ્રમ છે. WHO અને ICMRના અલગ કૉન્સેપ્ટ હોય. રાજ્યના અલગ હોય જનતાને ખબર નથી. લોકો વિચારે છે કે રેમડેસિવિર તેમને કોવિડ-19થી બચાવશે. ખોટો હાઈપ ઉભો કરવામાં આવ્યો છે. સરકારે એ જોવુ જોઈએ કે રેમડેસિવિરને એટલુ મહત્વ ન આપવુ જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે રાજ્ય સરકાર આના પર એક ઓપન સ્ટેટમેન્ટ આપે. ત્રિવેદીએ કહ્યુ કે રેમડેસિવિરનો સ્ટોક પૂરતો છે પરંતુ ડૉક્ટરો તેને આડેધડ પ્રીસ્ક્રાઈબ કરી રહ્યા છે. આ હાઈપ ડૉક્ટરો દ્વારા ઉભો કરવામાં આવ્યો છે કારણકે તેઓ પેરાસીટામોલની જેમ રેમડેસિવિર આપવા માંગે છે.












Click it and Unblock the Notifications
