અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ, મુખ્યમંત્રી રૂપાણીએ કરી પહિંદ વિધિ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરી અને શ્રીફળ વધેરીને રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ.
અમદાવાદઃ 'કોટે મોર ટહુક્યા,વાદળ ચમકી વીજ, મારા વાલાને સોરઠ સાંભળ્યો, જોને આવી અષાઢી બીજ...' છેવટે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા બે વર્ષ પછી નીકળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરી અને શ્રીફળ વધેરીને રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ. રથયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યા હતા.
Recommended Video
મુખ્યમંત્રી રૂપાણીએ ભગવાન જગન્નાથ પાસે માંગ્યા આશીર્વાદ
રથના શુભારંભ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ હતુ કે આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ થયો છે ભગવાન આશીર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા ભગવાન પાસે આશીર્વાદ માંગીએ. કચ્છીઓને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના.
મંગળા આરતીથી રથયાત્રાની પરંપરાગત વિધિ શરૂ
ભગવાન જગન્નાથના ત્રણેય રથને ફૂલો વડે શણગારવામાં આવ્યા છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી રથયાત્રાની પરંપરાગત વિધિ શરૂ કરવામાં આવી હતી. સવારે 4 વાગે અમિત શાહે મંદિર પરિસરમાં ગજરાજના દર્શન કર્યા હતા અને ત્યારબાદ જગન્નાથ મંદિરથી રવાના થઈ ગયા હતા. મંગળા આરતી બાદ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યા હતા. પહેલી વખત ભક્તો વિના ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી.
ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે નીકળી રથયાત્રા
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથની આસપાસ RAFસુરક્ષા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. વળી, 20-20 ખલાસીઓને સરસપુર પોલિસની બસમાં મોકલવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે આ વર્ષે કોરોના કેસ ઘટવાના કારણે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. માત્ર પાંચ કલાકમાં 22 કિમીની રૂટ પર ફરીને ભગવાન રથ નિજ મંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે.