નેશનલ સાયન્સ ડે 2024: સાયન્સ સિટી અમદાવાદ ખાતે સાયન્સ કાર્નિવલ ખુલ્લો મુકાયો
National Science Day 2024: નેશનલ સાયન્સ ડે નિમિત્તે અમદાવાદના સાયન્સ સિટી ખાતે પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં અભિરુચિ વધારવાના હેતુથી 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2024 દરમિયાન સાયન્સ કાર્નિવલમાં અનેક રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સાયન્સ કાર્નિવલની થીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને અનુરૂપ રાખવામાં આવી છે.

વિકસિત ભારતનું સ્વપ્ન વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી પરિપૂર્ણ થશે એમ જણાવી તેમણે કહ્યું કે, આગામી સમયમાં પ્રદેશ અને જિલ્લા સ્તરે સ્ટેમ લેબ ઊભી કરવામાં આવશે. વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સંતોષવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ કટિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વિજ્ઞાન જીવનનો અભિન્ન હિસ્સો છે. વિજ્ઞાન વારસો છે, જેને વિદ્યાર્થીકાળમાં સમજવો અને જાળવવો આવશ્યક છે. આજે જેમના સન્માનમાં નેશનલ સાયન્સ ડે ઊજવાઈ રહ્યો છે તે સી.વી. રામને અભાવ અને સંઘર્ષની સ્થિતિ વચ્ચે સંશોધન કરી વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને પ્રથમ નોબલ પુરસ્કાર અપાવી દેશનું ગૌરવ વધાર્યું હતું. જગદીશચંદ્ર બોઝ અને વિક્રમ સારાભાઈ, ડૉ એપીજે અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિકોની દીર્ઘદૃષ્ટિના પરિણામે આજે ભારત વિજ્ઞાનનાં તમામ ક્ષેત્રોમાં તેજગતિએ આગળ વધી રહ્યું છે.
SAC (ISRO)ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ અવકાશ મિશન ગગનયાનમાં સામેલ થનાર ચાર ગગનનોટ્સનો દેશને પરિચય કરાવ્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પણ સાયન્સ કાર્નિવલ જેવા આયોજન થકી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી દેશનું ગૌરવ વધારવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે. બી. વદરે સ્વાગત સંબોધનમાં જણાવ્યું હતું કે, સાયન્સ સિટી વિજ્ઞાન અંગે જાગૃતતા ફેલાવવાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. અત્યાર સુધીમાં લગભગ 17 લાખ લોકો સાયન્સ સિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે સાયન્સ કાર્નિવલ પણ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં રહેલી અસીમ સંભાવનાઓની ખોજ તથા પ્રગતિ માટેનું એક સબળ માધ્યમ બની રહેશે.
સાયન્સ કાર્નિવલના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૈજ્ઞાનિક કેલેન્ડર, ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ, સ્ટેમ 3.0 અને રોબો ફેસ્ટનું લોન્ચિંગ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલમાં વૈજ્ઞાનિક સંસ્થાઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, રાજ્ય અને દેશના જાણીતા વૈજ્ઞાનિકો સામેલ થવાના છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન, વૈજ્ઞાનિક વ્યાખ્યાન શ્રેણી, વિજ્ઞાન પ્રદર્શન, વૈજ્ઞાનિક સ્પર્ધાઓ, હોલ ઓફ ફેમ, હોલ ઓફ મેથ્સ, ઊર્જા લર્નિંગ, ક્લાયમેટ ચેન્જ લર્નિંગ અને પુસ્તક મેળો યોજાશે.
આ કાર્યક્રમમાં ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના સયુંકત સચિવ બી.એચ. તલાટી, GSEM મિશનના ડિરેક્ટર મનીષ ગુરવાણી, ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ તેમજ વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
