Navratri 2025 : નવરાત્રિ દરમિયાન અમદાવાદ મેટ્રો મોડે સુધી ચાલશે, જાણો ટાઈમિંગ
Navratri 2025 : ગરબાના શોખીનો અને નવરાત્રિની ઉજવણી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ આગામી નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
સામાન્ય રીતે રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલતી મેટ્રો ટ્રેન હવે મોડી રાત સુધી દોડશે, જેથી લોકો સરળતાથી ગરબાના સ્થળો પર પહોંચી શકે અને પરત ફરી શકે.

આ સુવિધા 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 સુધી ઉપલબ્ધ રહેશે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ મેટ્રો ટ્રેન રાત્રે 2:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમદાવાદમાં, થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને APMC જેવા ટર્મિનલ સ્ટેશનો પરથી છેલ્લી ટ્રેન રાત્રે 2:00 વાગ્યે ઉપડશે.
ગાંધીનગરના મુસાફરો માટે પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધીની છેલ્લી ટ્રેન રાત્રે 2:00 વાગ્યે ઉપડશે, જ્યારે સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ માટેની છેલ્લી ટ્રેન રાત્રે 1:00 વાગ્યે ઉપડશે.
નવરાત્રિના આ ખાસ સમયગાળા દરમિયાન મુસાફરી કરવા માટે રૂપિયા 50 ની કિંમતની ખાસ પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકાશે અને તે એક જ મુસાફરી માટે માન્ય રહેશે. આ સ્પેશિયલ ટિકિટની મદદથી લોકો મુશ્કેલી વિના મોડી રાત્રે પણ મેટ્રો સેવાનો લાભ લઈ શકશે.
GMRC નો આ નિર્ણય ગરબાના આયોજનો અને નવરાત્રિની ઉજવણીમાં ભાગ લેતા હજારો લોકોને ખૂબ મદદરૂપ થશે. મેટ્રોની આ વધારાની સુવિધાથી રાત્રે મુસાફરી કરવી વધુ સુરક્ષિત અને સરળ બનશે, જેનાથી લોકો તહેવારનો સંપૂર્ણ આનંદ માણી શકશે.












Click it and Unblock the Notifications
