લગ્નેત્તર સંબંધના કારણે પોલિસકર્મીને બરતરફ ન કરી શકાયઃ હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યુ છે કે લગ્નેત્તર સંબંધોના કારણે કોઈ પોલિસકર્મીને બરતરફ ન કરી શકાય.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યુ છે કે લગ્નેત્તર સંબંધોના કારણે કોઈ પોલિસકર્મીને બરતરફ ન કરી શકાય. કોર્ટે નોંધ્યુ છે કે લગ્નેત્તર સંબંધ અનૈતિક કૃત્ય હોઈ શકે છે પરંતુ પોલિસ સેવા નિયમો મુજબ તેને દુરાચાર ન ગણી શકાય કારણકે આ કિસ્સામાં મહિલાનુ શોષણ કે તેની સાથે અન્ય કોઈ ગુનો થયો નથી. કોર્ટે અમદાવાદના અરજદાર કોન્સ્ટેબલને એક મહિનાની સમયમર્યાદામાં ફરીથી નોકરી પર લેવા અને અગાઉનો 25 ટકા પગાર આપવાના નિર્દેશ આપ્યા છે.
કેસની વિગત મુજબ શાહીબાગના પોલિસ ક્વાર્ટસમાં પરિવાર સાથે રહેતા પોલિસ કોન્સ્ટેબલને તેની જ કોલોનીમા રહેતી એક વિધવા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ મહિલાના પરિવારને આ અંગે જાણ થતા તેમણે મહિલાના ઘરમાં અને અન્ય સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા જેથી બંને વચ્ચેના સંબંધના પુરાવા મળે. આ પુરાવાના આધારે મહિલાના પરિવારે પોલિસ વિભાગમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ યુગલે પણ પ્રેમ સંબંધોનો સ્વીકાર કર્યો હતો. જેના આધારે પોલિસ વિભાગે આ કોન્સ્ટેબલને 2013માં નોકરીમાંથી બરતરફ કર્યા હતા અને કારણ આપ્યુ હતુ કે આ નૈતિક ભ્રષ્તા છે જેના કારણે પોલિસફોર્સમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે.
બરતરફીના આદેશ સામે કોન્સ્ટેબલે પિટિશન કરી હતી. જેમાં તેમની રજૂઆત હતી કે આ સંબંધ બંને વ્યક્તિની મંજૂરી અને ઈચ્છાથી હતા. તેથી આ કિસ્સામાં તે મહિલા પર અત્યાચાર કે શોષણ થયુ હોવાનો મુદ્દો જ નથી. આ ઉપરાંત બરતરફી પહેલા કોઈ ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી નહોતી. બંને પક્ષોને સાંભળી હાઈકોર્ટના જસ્ટીસ સંગીતાએ નોંધ્યુ છે કે કન્ડક્ટ રુલ્સ મુજબ આ કૃત્યને દુરાચાર ગણવો વધુ પડતુ થઈ જશે જેથી અરજદારને ફરીથી નોકરી પર લેવામાં આવે.