અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આ રૂટ પર લગાવાયો કર્ફ્યુ, અપાયા વૈકલ્પિક રૂટ
કોરોના મહામારીના કારણે સાવચેતી માટે શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને રથના રૂટ પણ બદલવામાં આવ્યા છે.
અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાનો આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને શુભારંભ કરાવ્યો. રથયાત્રાના શુભારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા. ફૂલો વડે શણગારાયેલા ત્રણેય રથ ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે નગરચર્યાએ નીકળ્યા છે. કોરોના મહામારીના કારણે સાવચેતી માટે શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને રથના રૂટ પણ બદલવામાં આવ્યા છે.

રથયાત્રા પાંચ કલાકમાં નિજ મંદિરમાં પરત ફરશે
રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ લગાવી રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. રથયાત્રા પાંચ કલાકમાં 22 કિમીના રૂટ પર ફરીને નિજ મંદિરમાં પરત ફરશે. રથયાત્રા ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, કારંજ, માધુપુરા, દાણીલીમડા અને સાબરમતી રિવરફ્રંટ ઈસ્ટ એમ 10 પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થવાની છે. આ વિસ્તારોમાં રવિવારે રાતે 10 વાગ્યાથી સોમવારે બપોરે 2 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

અપાયા વૈકલ્પિક રૂટ
અમદાવાદ શહેરના જમાલપુર, એલિસબ્રીજ, નહેરુબ્રીજ, ગાંધીબ્રીજ બ્રીજ બંધ રાખવામાં આવ્યા છે. નરોડા મેમ્કો બાજુ આવતા વાહનો બાપુનગર-રખિયાલ અમરાઈવાડી જઈ શકશે. સોનીની ચાલ તરફથી આવતા વાહનો ગોમતીપુર-મણિનગર-દાણીલીમડા તરફ જઈ શકશે. નારોલથી આવતા વાહનો આંબેડકર બ્રીજથી આશ્રમ રોડ જઈ શકશે.

રથયાત્રા નિમિત્તે ગોઠવાયો ચુસ્ત પોલિસ બંદોબસ્ત
રથયાત્રાના રૂટમાં દરિયાપુર વિસ્તારમાં એસઆરપી, સીઆરપીના જવાનો સહિત ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરા દ્વારા એએમસી કંટ્રોલરૂમ ખાતે નિરીક્ષણ કરવામાં આવશે. સમગ્ર શહેરમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વૉચ ટાવર, ઘોડેસવાર પોલિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
