Sidhu Musewala Murder Case : CM માને કહ્યું, ગોલ્ડીને ટૂંક સમયમાં ભારત લવાશે
Sidhu Musewala Murder Case : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 02 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
Sidhu Musewala Murder Case : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 02 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે, ગેંગસ્ટર ગોલ્ડી બરારની ધરપકડ બાદ કેલિફોર્નિયા પોલીસે પંજાબ સરકારનો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં જ ગોલ્ડી બરારને ભારત લાવવામાં આવશે અને તેને સખત સજા આપવામાં આવશે. તેનાથી ઘણા પરિવારોને ન્યાય મળશે.
અમદાવાદમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં ગેંગસ્ટર કલ્ચર ટૂંક સમયમાં ખતમ થઈ જશે. કેટલાક ગુંડાઓ દેશની બહાર છૂપાઇને બેઠા છે, તેથી અમે પ્રોટોકોલ મુજબ કામ કરવા માટે બંધાયેલા છીએ.
આપ સરકારને બદનામ કરવા અંગે ભગવંત માને જણાવ્યું હતું કે, આ ગેંગસ્ટરનો જન્મ અકાલી અને ભાજપના શાસનમાં થયો હતો અને પછી કોંગ્રેસે તેને આશ્રય આપ્યો હતો. અમે પંજાબના સામાજિક એકતાને કોઈપણ કિંમતે તૂટવા નહીં દઈએ. અહેવાલો અનુસાર, ઇન્ટરપોલે તાજેતરમાં જ ગોલ્ડી બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. રેડ કોર્નર નોટિસ એ વૈશ્વિક વોરંટ છે, જે વિશ્વભરના 194 સભ્ય દેશોને તેમના પ્રદેશોમાં ગુનાહિત કેસમાં શંકાસ્પદને શોધી અને ધરપકડ કરવાની મંજૂરી આપે છે.
કોણ છે ગોલ્ડી બરાર?
ગોલ્ડી બરાર પંજાબના શ્રી મુક્તાર સાહિબનો રહેવાસી છે અને 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ગોલ્ડી બરાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે અને તેની સામે 2020 અને 2021માં હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટના બે કેસ નોંધાયા હતા. હરિયાણા અને પંજાબના મોડ્યુલ અને શૂટર્સનું સંચાલન કેનેડિયન ગોલ્ડી બરાર કરે છે. ગોલ્ડી બરારે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી હતી.