અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર, જલ્દી થશે જાહેરાત
મેગાસિટી અમદાવાદના ટ્રાફિક માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજના ભવિષ્ય અંગે ચાલી રહેલી લાંબા સમયની અટકળોનો આખરે અંત આવ્યો છે.
અહેવાલો અનુસાર, સરકારે આ બ્રિજના પુનઃનિર્માણ માટે એક નિર્ણાયક પગલું ભર્યું છે અને તેના ભવિષ્યનો માર્ગ સ્પષ્ટ કર્યો છે.

સરકારે બ્રિજના પિલર સિવાયના ઉપરના હિસ્સા એટલે કે સુપર સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે તોડી પાડીને નવું બનાવવાની ભલામણને મંજૂરી આપી દીધી છે. નિષ્ણાતો દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બ્રિજના તમામ પિલર મજબૂત જણાતા હોવાથી તેમને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.
ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કમિશનર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને એક વિસ્તૃત રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં નિષ્ણાતોની ભલામણોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપતા પુનઃનિર્માણનો માર્ગ મોકળો થયો છે.
સુભાષબ્રિજના રિપેરિંગ અને ભાવિ આયોજન સંબંધિત માહિતી આપવા માટે AMC જલ્દી સત્તાવાર જાહેરાત કરશે.
અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોને જોડતી એક મુખ્ય કડી સમાન આ સુભાષબ્રિજનું પુનઃનિર્માણ લાખો વાહનચાલકો માટે મોટી રાહત લાવશે. આ નિર્ણય આગામી સમયમાં નાગરિકોને સુરક્ષિત અને સુગમ પરિવહન પૂરું પાડવામાં મદદરૂપ થશે.












Click it and Unblock the Notifications
