દલિત, આદિવાસી, OBC અને માઇનોરિટી એક મંચ પર આવશે, ગાંધીનગરમાં સંવિધાન દિવસ પર રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલન
અમદાવાદ: સમગ્ર દેશમાં 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. બંધારણીય મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે સંગઠનો અને સ્થાનિક લોકો આ દિવસને ધામધૂમથી ઉજવી રહ્યા છે. રાષ્ટ્રીય સંવિધાન દિવસને રાષ્ટ્રીય કાનૂન દિવસ અને ભારતીય સંવિધાન દિવસના નામથી જાણવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે 26 નવેમ્બરના દિવસે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સાથે, બૌદ્ધ મહા સંમેલન તેમજ બહુજન એકતા યાત્રા પણ કાઢવામાં આવશે.
આ કાર્યક્રમમાં દલિત સમાજ, આદિવાસી સમાજ, OBC સમાજ અને માઈનોરિટી સમાજના લોકો જોડાશે અને બંધારણની મૂળ ભાવનાઓ પ્રત્યે પોતાની જવાબદારી દાખવશે. આ કાર્યક્રમના 2 મહિના પહેલા જ ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં લોકો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં ભાગ લેવામાં માટે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. આ કાર્યક્રમમાં અનેક મોટા સામાજિક સંગઠનો, બહુજન ચિંતકો, સામાજિક આગેવાનો સહિતના અનેક મહાનુભાવો હાજરી આપશે.

આ દિવસે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને હાલ ધારાસભ્ય રાજેન્દ્ર ગૌતમ પણ હાજરી આપશે. તેઓએ આ કાર્યક્રમમાં લાગેલી મિશન જય ભીમ ટીમને પણ અભિનંદન આપ્યા હતા. મિશન જય ભીમના નેજા હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમમાં તમામ સમાજના સંગઠનો અને બહુજન ચિંતકો હાથથી હાથ મિલાવીને કામ કરી રહ્યા છે. આ કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર 11માં પથિકા આશ્રમ પાછળના ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની સંવિધાન સભાએ હાલના સંવિધાનને વિધિવત રીતે 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકાર કર્યું હતું. જોકે, સ્વીકાર કર્યાના બે મહિના બાદ એટલે 26 જાન્યુઆરી 1950ના રોજ તેને લાગુ કર્યું હતું. આ કારણે તે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.
નોંધનીય બાબત છે કે, બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા 19 નવેમ્બર, 2015ના રોજ 26 નવેમ્બરના દિવસને બંધારણીય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સંવૈધાનિક મૂલ્યોની જાણકારી દેશના દરેક નાગરિકને હોય, એટલા માટે આ દિવસને મનાવામાં આવે છે. આ દિવસે સ્કૂલ અને કોલેજમાં ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને ભણાવવામાં આવે છે. તેની સાથે જ ભારતીય સંવિધાનની વિશેષતા અને મહત્વ પર પણ ચર્ચા થાય છે.












Click it and Unblock the Notifications
