બોરિસ જૉનસનનુ ગાંધી આશ્રમમાં મંત્રોચ્ચાર સાથે સ્વાગત, ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી
બોરિસ જૉનસનનુ ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે.
અમદાવાદઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન આજે ગુજરાતના પ્રવાસે છે. બ્રિટિશ પીએમ બોરિસ જૉનસને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને રેટિયો પણ કાંત્યો હતો. મહાત્મા ગાંધીની શિષ્યા મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાબેનની આત્મકથા 'ધ સ્પિરિટ્સ પિલગ્રિમેજ' યુકેના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને સાબરમતી આશ્રમ દ્વારા ભેટમાં આપવામાં આવી. મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલા પહેલા બે પુસ્તકોમાંથી આ એક છે જે ક્યારેય પ્રકાશિત થઈ નથી. બ્રિટનના પ્રધાનમંત્રીએ વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો.
આ પહેલા અમદાવાદ એરપોર્ટ બહાર તેમનુ ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયુ હતુ. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રેજન્સી ગયા હતા. ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે. આ પહેલા બ્રિટિશ પીએમનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો યોજાયો હતો.
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે બપોરે તેઓ લંચ બાદ અદાણી શાંતિગ્રામમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળશે. આ મુલાકાતમાં બંને વચ્ચે બ્રિટનમાં અદાણી ગ્રુપના સંભવિત રોકાણ અંગે ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકમાં જેસીબીના ચેરમેન લોર્ડ બામફોર્ડ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
તમને જણાવી દઈએ કે બોરિસ જૉનસનના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા. વળી, સમગ્ર રુટ પર વેલકમ ગુજરાતના હૉર્ડિંગ્ઝ પણ લગાવવામાં આવ્યા છે. ગુજસેલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુકેનો ધ્વજ લઈને પહોંચ્યા હતા.