Gram Panchayat Election 2021: બનાસકાંઠા જિલ્લામાં 588 ગામમાંથી કુલ 3535 ફોર્મ ભરાયા
રાજ્યમાં 10879 ગ્રામ પંયાયતોની 19મી ડિસેમ્બરે ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં 10879 ગ્રામ પંયાયતોની 19મી ડિસેમ્બરે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આજથી ચૂંટણીની આચારસંહિતાનો અમલ રાજ્યના 33 જિલ્લાઓમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીનુ જાહેરનામુ 29મી નવેમ્બરે બહાર પાડવામાં આવ્યુ અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર નક્કી કરવામાં આવી. આ ચૂંટણીનુ પરિણામ 21મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચના પ્રમુખ સંજયનંદને જણાવ્યુ કે રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં 10284 સરપંચ અને 89702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. આ સાથે જે ગ્રામ પંચાયતોની મુદત 31મી માર્ચ 2022 પછી પૂરી થાય છે અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી અને વિભાજનવાળી તેમજ મધ્યસત્રવાળી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ આ સાથે યોજવામમાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. રાજ્યના 2.06 કરોડ મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. સરપંચના હોદ્દા માટે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ, મિલકત-દેવા અને શૈક્ષિણક લાયકાદ માટે નિયત નમૂનામા એકરારનામુ કરવાનુ રહેશે.
રાજ્ય ચૂંટણી પંચના સચિવ જીસી બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ઓળખકાર્ડ રજૂ કરવાના રહેશે. જો તે રજૂ કરી શકે તેમ ન હોય તો સંબંધિત મતદારની ઓળખ માટે મતદાર, રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબના નિયત દસ્તાવેજો રજૂ કરી શકશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીને છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે પૂરતો પોલિસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચ પ્રમુખ સંજયનંદને ચૂંટણી આચારસંહિતા વિશે જણાવ્યુ કે ચૂંટણી હેઠળા જિલ્લાઓના રાજ્ય સરકાર વિભાગોમાં તબીબી કારણો સિવાય ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની રજા કરવામાં આવશે નહિ. સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં કોઈ નિયુક્તિ પણ થઈ શકશે નહિ. મતદારો પ્રભાવિત થાય તેવી કોઈ જાહેરાત કરી શકાશે નહિ. નાણાકીય ગ્રાન્ટ કે વચનોની જાહેરાત પણ કરી શકાશે નહિ. આ સૂચનાઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, કેબિનેટના મંત્રીઓ તેમજ બોર્ડ-નિગમો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વડાને આપવામાં આવી છે. આ સૂચનાનો અમલ 22મી નવેમ્બરથી 21મી ડિસેમ્બર સુધી કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લાની સામાન્ય ચૂંટણી અને 10 પેટા ચૂંટણી માટે 1450 ફોર્મ ભરાયા. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 588 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 3525 ફોર્મ તેમજ સભ્ય માટે 9809 ફોર્મ ભરાયા. 59 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીના સરપંચ પદ માટે 19 ફોર્મ ભરાયા. આ તમામ ફોર્મની ચકાસણી આજે કરવામાં આવશે.