સ્વાઈન ફલૂનો કહેર, રાજ્યનુ પાટનગર પણ નિશાને
ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત.મૃત્યુઆંક વધીને 230એ પહોચ્યો.રાજ્યનું પાટનગર પણ સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવ્યું. આ અંગે વધુ વાંચો અહીં...
રાજ્યમાં સ્વાઈન ફલૂના કારણે ગુરૂવારે વધુ 10 દર્દીઓના મૃત્યુ થયા હતા. તો ગાંધીનગરમાં એક પ્રસૂતા મહિલાનું પણ સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ થયુ હતું. એક નોંધ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 230 લોકોના મોત થઇ ચુક્યા છે. અને 2272 કેસો પોઝિટિવ આવ્યા છે. હાલમાં 1225 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જયારે 857 લોકોની હાલતમાં સુધાર પણ થયો છે. ગાંધીનગર શહેરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 67 પોઝિટિવ કેસ અને 11 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં શહેરના અદિવાડમાં રહેતી એક મહિલાએ 7 મહિના પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. જે છેલ્લા બે દિવસથી સ્વાઇન ફ્લૂમાં સપડાઈ અને તેનું ગાંધીનગર સિવિલમાં મૃત્યુ થયું હતું.
તેમજ સેક્ટર 25માં રહેતી મહિલાને પણ સ્વાઈન ફલૂ પોઝિટિવ આવ્યો હતો અને છાત્રાલયના 18 વર્ષના યુવાનને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા હાલ સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં વધી રહેલ સ્વાઈન ફ્લૂના કેસોની ગંભીરતાને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે રાજ્યના ચાર મુખ્ય શહેરોની સિવિલ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓ સાથે વાત કરી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.