રાજકોટમાં ૧૦ નવી શાળા શરૂ કરવા કેન્દ્ર સરકારની લીલીઝંડી
મદદનિશ શ્રમ આયુકત કચેરી દ્વારા રાજકોટ જિલ્લામાં બે ટંકનો રોટલો પણ માંડ રળી શકતા પરિવારનાએ બાળકો કે જેઓ શાળાએ જવાને બદલે કામ કરે છે તેમને શોધી કાઢવા માટે પ્રોજેક્ટ ડાયરેકટર રોહિત પટેલ સહિતના અધિકારીઓ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ૧૧૧૫ બાળકોને રાજકોટ જિલ્લામાં શોધી કાઢવામાં આવ્યા હતા. આ પૂર્વે આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૫ શાળાઓ કાર્યરત હતી જે શાળાના બાળકો મુખ્ય પ્રવાહમાં ભળી જતાં બંધ કરી દેવાઇ હતી અને નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારના એન.સી.એલ. પી.(નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ) અંતર્ગત આ બાળકો માટે શાળાઓ શરૂ કરવા શ્રમ અને રોજગાર મંત્રાલય પાસે મંજૂરી માગવામાં આવી હતી તેમજ આ સર્વે રિપોર્ટ ૧૮/૭/૧૨ના મોકલવામાં આવ્યો હતો. કોઇ પણ પ્રકારના ઓબ્જેકશન વગર રાજકોટ જિલ્લાના આ પ્રોજેક્ટને કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે.
* ક્યાં ક્યાં શાળા શરૂ થશે
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી શાળાઓ શરૂ કરવા માટે મંજૂરી મળી જતાં હવે રાજકોટ શહેર જસદણ, ગોંડલ તેમજ જેતપુર ખાતે નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓ શરૂ કરવામાં આવશે.
* ત્રણ વર્ષ સુધી બાળકોને વિવિધ પ્રકારની સહાય
જોખમી વ્યવસાય સાથે સંકળાયેલા આ બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત સાથે જ ત્રણ વર્ષ સુધી પ્રતિ માસ ૧૫૦નું શિક્ષણનું ભથ્થુંબપોરના સમયે ભોજન, શાળા માટે ગણવેશ, અભ્યાસ માટે નિ:શુલ્ક પુસ્તકો તેમજ પ્રતિ માસ તેમના આરોગ્ય અંગે તબીબી ચકાસણી પણ કરવામાં આવશે.