કોંગ્રેસનું ગાંધીનગરમાં આજે ખેડૂત મહાસંમેલન, હજારો ખેડૂતો જોડાયા
આ પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે ભાજપા સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલું સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયક ખેડૂત વિરોધી છે. આ વિધેયક ખેડૂતોના મૂળભૂત અધિકાર ઉપર કાપ મૂકી, અધિકારીઓને અર્યાદિત સત્તા આપશે. જેના પગલે રાજ્યના ૫૮ લાખથી વધુ ખેડૂતો રાજકીય કિન્નાખોરીનો ભોગ બનશે.
તેમણે જણાવ્યું કે 'કોંગ્રેસ પક્ષ સદૈવ ખેડૂતો સાથે રહી છે અને હંમેશા રહેશે. તેમણે જણાવ્યું કે આ કાયદાનો પૂરજોર વિરોધ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૧-૪-૨૦૧૩, સોમવાર ના રોજ સવારે ૧૦ કલાકે, ગાંધીનગર ખાતે પથિકાશ્રમના સામેના મેદાનમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના હક્કની લડાઈ માટે જોડાવા તેમણે ખેડૂતોને આહ્વાન કર્યું હતું.'
સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસી કાર્યકરો તરફથી કોઇ કાયદાનો ભંગ કરવામાં આવશે નહીં, તેમજ ખેડૂતો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન રેલી કાઢવામાં આવશે. જોકે મોઢવાડીયાએ રાજ્ય સરકાર પર એવો પણ આરોપ લગાવતા જણાવ્યું કે 'આ રેલી ના યોજાય એટલા માટે રાજ્ય સરકારે ગાંધીનગરમાં બોમ્બ ફૂટવાની અફવા જારી કરી દીધી છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટના પગલે ગાંધીનગરમાં પોલીસ તપાસ કડક કરી દેવામાં આવી છે, તેમજ સીટીમાં પ્રવેશતા દરેક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સચિવાલય તરફ જતી તમામ બસોના રુટ ડાઇવર્ટ કરી દેવામાં આવ્યા છે.
કાળા કાયદાના વિરોધમાં કોંગ્રેસનું અહિંસક આંદોલન બન્યું હિંસક
કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના પથિકા આશ્રમ ખાતે યોજવામાં આવેલું ખેડૂત મહાસંમેલન આક્રમ રૂપ ધારણ કરી રહ્યું છે. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. પોલીસ દ્વારા કોંગી કાર્યકર અને ખેડૂતોને રેલી કરવાથી રોકવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને કોંગી કાર્યકરો અહિંસક રસ્તો અપનાવી રહ્યા છે. જોકે પોલીસનું કહેવું છે કે ખેડૂત મહાસંમેલન માટે માત્ર પથિકાશ્રમ ખાતેની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમની રેલી કાઢવાની પરવાનગી આપવામાં આવી ન્હોતી માટે તેમને અટકાવવામાં આવી રહ્યા છે. જેનો વિરોધ કરી કોંગી કાર્યકરો આક્રમક બન્યા છે.
દિગ્ગજ કોંગી નેતાઓ સહીત 100 જેટલા કાર્યકરોની અટકાયત
ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલું ખેડૂત મહાસંમેલન હિંસક બન્યું હતું. જેના પગલે ગાંધીનગર પોલીસે કોંગ્રેસના દિગ્ગસ નેતાઓની અટકાયત કરી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, તુષાર ચોધરી સહિત 100 જેટલા કાર્યકરોનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ રેલી યોજીને વિધાનસભા તરફ જઇ રહ્યા હતા. જેની તેમની પાસે મંજૂરી ન્હોતી. જોકે પોલીસે તેમની અટકાયત કર્યા બાદ પોલીસે માત્ર 30 મીનીટમાં જ છોડી મૂકવામાં આવ્યા હતા.