ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં રાજ્યના ૧.૪૫ કરોડથી વધુ જરૂરિયાતમંદોને મળી ૧૦૮ની તાત્કાલિક આરોગ્ય સેવા
એમ્બ્યુલન્સમાં કાર્યરત ઈ.એમ.ટી. દ્વારા ૮૧,૧૬૬ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ ૪૬,૬૧૮ મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાઈ
રાજ્યનાં નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે '૧૦૮ એમ્બ્યુલન્સ'ની સેવાને આજે વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે '૧૦૮ એમ્બ્યુલન્સ સેવા' ખરેખર આશીર્વાદ સમાન બની છે.

રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭થી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજન હેઠળ થયો હતો. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટિબદ્ધ છે. ૧૦૮ના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ પણ અભૂતપૂર્વ છે.
૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. ૧૦૮ સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ "ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર" કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરીકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વ હેઠળ ૧૦૮ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં રાજ્યભરમાંથી લગભગ ૧.૪૫ કરોડથી પણ વધુ ઇમરજન્સી હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. આ ઉપરાંત ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં ૪૯.૩૪ લાખથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત ૧૭.૯૬ લાખથી વધુ ઈમર્જન્સી તેમજ ૧૩.૪૪ લાખથી વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમણે જીવના જોખમમાંથી ઉગારવામાં આવ્યા છે.
વધુમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા ૮૧,૧૬૬ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ ૪૬,૬૧૮ મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે.
માત્ર ૫૩ એમ્બ્યુલન્સથી શરૂ થયેલી ૧૦૮ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયાઈ વિસ્તારોમાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા શરુ કરી છે. જ્યારે કટોકટીની પળોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવાનો પણ ગતવર્ષે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચીને ૧૦૮ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
