વડોદરામાં 2 ઇમારતો ધરાશાયી, 5નાં મરણ, 40 દટાયાની શંકા
વડોદરા, 28 ઓગસ્ટ : વડોદરાના અટલાદરા વિસ્તારમાં આજે સવારે લગભગ પાંચ વાગ્યાના સુમારે વડોદરા અર્બન ડેવેલપમેન્ટ ઓથોરિટી ‘વુડા' વિભાગની ત્રણ માળની બે ઈમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં બીજાં 35થી 40 લોકો કાટમાળ હેઠળ ફસાયાની આશંકા છે.
બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચેથી પાંચ મૃતદેહ મળ્યા છે. જ્યારે 8 વ્યક્તિઓને કાટમાળમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તૂટી પડેલી બંને ઈમારત રહેણાંક હતી. તેમ છતાં એક મકાન ખાલી હતું જ્યારે બીજામાં 12 પરિવારો રહેતા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર બંને મકાન 20 મિનિટના ગાળામાં તૂટી પડ્યા હતા. પહેલું મકાન તૂટી પડ્યું કે તરત બીજામાં રહેતા લોકો બહાર નીકળી ગયા હતા. બંને મકાન લગભગ 12 વર્ષ પહેલા બાંધવામાં આવ્યા હતા. આ હોનારત બાદ ‘વુડા' વિભાગની 30 ઈમારતોને ખાલી કરવાનું રહેવાસીઓને કહી દેવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને મકાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.