રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત 2033 કરોડના વિકાસ કામો લોકો માટે ખુલ્લા મુકાયા
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને લોકો માટે ખુલ્લુ મુક્યુ છે. રાજકોટમાં એરપોર્ટ સહિત પીએમ મોદીએ 2033 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.
રાજકોટમાં હિરાસર પાસે નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેસકોર્સ ખાતે જનસભા સંબોધી વિવિધ વિકાસકાર્યોનું રિમોટથી લોકાર્પણ કર્યું હતું.

આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, હિરાસર ખાતે નિર્માણ પામેલું આ માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જ નથી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતને નવી ઊર્જા આપનારું, નવી ઊડાન આપનારું પાવરહાઉસ બની રહેશે.
તેમને કહ્યું કે, રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તેવું રાજકોટવાસીઓનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે રાજકોટ હવે દેશ-દુનિયાના અન્ય શહેરો સાથે સીધી ફ્લાઈટથી જોડાઈ શકશે. જેના કારણે ઉદ્યોગોને લાભ થશે, ખેડૂતો પણ તેમનું કૃષિ ઉત્પાદન વિદેશ મોકલી શકશે. સર્વાંગી વિકાસની સાથે ગુજરાત આજે એરોપ્લેન બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
અહીં વડાપ્રધાને મોટો દાવો કરતા કહ્યું કે, દેશમાં ગરીબી ઝડપથી ઘટી છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જેના કારણે એક નવા મધ્યમ વર્ગનું સર્જન થયું છે.
અહીં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, મોરબી-થાનના સિરામીક ઉદ્યોગો, જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગ, ભાવનગર અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગો કે રાજકોટના ઓટોમોબાઇલ પાર્ટ્સ અને મેટલ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો સૌ માટે આ એરપોર્ટ નિકાસ અને વેપાર-ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ તકો પૂરી પાડશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, હવાઈ સ્લીપર પહેરનારા નાગરિકોને UDAN યોજના હેઠળ કિફાયતી દરે હવાઇ યાત્રા ઉપલબ્ધ કરાવવા માટે દેશભરમાં નવા ૧૪૮ એરપોર્ટસ બનાવાયા છે. વર્ષ ૨૦૧૪માં પ્રતિ સપ્તાહ ૫૬ ફલાઈટસ અને ૧૯ શહેરો સાથેની કનેક્ટિવિટીની સામે ૨૦૨૩માં પ્રતિ સપ્તાહ ૧૩૦ ફલાઈટસ અને ૫૦ શહેરો સાથેની કનેક્ટિવિટી ઉપલબ્ધ બનવા જઈ રહી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષતાઓ વર્ણવતાં કહ્યું કે, ટૂંક સમયમાં રાજકોટ હવાઈ માર્ગે ઉદયપુર અને ઈન્દોર સાથે જોડાઈ જશે.












Click it and Unblock the Notifications
