27 March: ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર
રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
ગુજરાત વિધાનસભામાં તોડફોડ
ગઇકાલનો દિવસ ગુજરાતની રાજકારણમાં એક કલંકરૂપ રહ્યો. કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાં પોતાની વાત રજૂ કરવા માટે સમય નહી ફાળવતા ઉશ્કેરાઇ જઇને વિધાનસભામાં તોડફોડ કરી હતી, પ્રાંગણમાં મૂકેલા કૂંડાઓનો પણ તેમણે નાશ કર્યો હતો. બે દાયકા બાદ આવી શરમજનક ઘટના ગુજરાત વિધાનસભામાં બની છે.
મુખ્યમંત્રીએ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, જેના માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાસ પેકેજની જાહેરાત કરી છે. ખેડૂતો પાસે અરજીઓ મંગાવવામાં આવશે અને તપાસના આધારે તેમને રાહત વળતર ચૂકવવામાં આવશે.
જસદણ બંધ
બુધવારે રાત્રે કેટલાંક ઇસમોએ જસદણમાં એક ભાજપી નગરસેવકની કરપીણ હત્યા કરી નાખી, જેના પગલે ધારાસભ્યે જાતે રસ લઇને જસદણમાં જબરદસ્ત રેલીનું આયોજન કરાયું. જેના પગલે ગુરુવારે જસદણ સજ્જડ બંધ રહ્યું હતું. જોકે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
વિશ્વકપમાંથી બહાર થતા અમદાવાદીઓએ ઠલવ્યો રોષ
અમદાવાદના ક્રિકેટ પ્રેમિયોએ ભારતીય ટીમના શરમજનક પ્રદર્શનના કારણે વિશ્વકપમાંથી બહાર થઇ જવાથી પોતાનો રોષ ઠાલવ્યો હતો. જશોદાનગર ખાતે લોકોએ વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના પોસ્ટરોનું દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સ્વાઇન ફ્લૂથી એકનું મોત
જીજી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂથી એકનું મોત. કુલ મૃત્યુઆંક 25 થયો. અત્યાર સુધી સ્વાઈન ફ્લૂના સાત પોઝિટિવ કેસ નોંધાયા.
બેંકોની રજા બન્યો ચિંતાનો વિષય
આગામી સપ્તાહે આવનારી બેંકોની લાંબી રજા ચિંતાનો વિષય એસોચેમ દ્વારા આરબીઆઈ સાથે કરાઈ ચર્ચા. 28 માર્ચ-ત્રીજી એપ્રિલ સુધી બેંકોમાં રજા રહેવાની છે.
કોંગી ધારાસભ્યોનો સુત્રોચ્ચાર
કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મામલે કોંગી ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ગાંધીજીની મૂર્તિ પાસે `બંધ કરો, બંધ કરો, બંધારણનું વસ્ત્રાહરણ બંધ કરો'ના સૂત્રોચ્ચાર લગાવ્યા હતા.