ગુજરાતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહી..
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વડોદરામાં સગીરા પર દુષ્કર્મ વગેરે સમાચારો વિશે સંક્ષિપ્તમાં વાંચો અહી...
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલ તાલુકા પંચાયતની બેઠક માટે મતદાન થઈ રહ્યું છે જેમાં 22 બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કટટર ખેંચતાણ છે તો 22 બેઠકો માટે 78 ગામડાઓનો સમાવેશ થતો હોવાથી કુલ 1 લાખ 32 હજાર 415 મતદારો તાલુકા પંચાયતનું ભાવિ નક્કી કરશે. જેમાં આશરે 42 જેટલા બૂથ ભારે સંવેદનશીલ છે તો આ તરફ વાપીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન ચાલુ છે. જેમાં 92 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. તમામ ચૂટંણી માટે કેન્દ્રો ઉપર ચાંપતો બંદાબસ્ત કરવામાં આવ્યો છે.
વડોદરામાં જ્યોતિષે સગીરા પર આચર્યું દુષ્કર્મ
વડોદરામાં જ્યોતિષ હિતેશ પંડ્યાએ પોતે જ્યોતિષ હોવાનુ કહીને બાજુમાં રહેતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં તે જ્યોતિષ ફરાર છે જો કે પોલીસે તેની પત્નીની અટકાયત કરી છે.
વડોદરામાં દંતેશ્વર હાઉસિંગના બ્લોક નંબર 13ના મકાન નં. 221માં રહેતા હિતેશ અંબાલાલ પંડ્યા અને તેના પત્ની દેવકી હિતેશ પંડ્યા જ્યોતિષ હોવાનુ જણાવીને સગીરાને વિવિધ સ્થળે લઈ જઈ પાંચ માસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોઁધ્યા બાદ આરોપીના ઘરમાંથી તપાસ કરતા કેમેરા તેમજ તમંચો, તલવાર, ગુપ્તી જેવા હથિયારો પણ મળ્યા હતા જે પોલીસે કબજે કર્યા છે.
ભારતબંધનું એલાન રદ કરાયુ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરી હતી કે આવતી કાલે સોમવારે કોંગ્રેસ દ્વારા અપાયેલ ભારત બંધનું એલાન રદ કરવામાં આવ્યુ છે તેના બદલે કોંગ્રેસ આક્રોશ દિવસ યોજશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી દ્વારા કરાયેલ નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે ભારતબંધનું એલાન આપ્યુ હતુ.
એક જ કેનાલમાં 13મી વખત ગાબડુ
બનાસકાંઠામાં થરાદ નજીક એક કેનાલમાં ગાબડુ પડ્યુ છે. થરાદ પાસે ઉચપા અને ચારડા પેટા કેનાલમાં ગાબડુ પડ્યુ છે. આ ગાબડુ લગભગ 15 ફૂટનું છે. ઉલ્લેખનીય છે કે આ જ કેનાલમાં 13 મી વખત ગાબડુ પડ્યુ છે.