શિક્ષણ મંત્રીની હાજરીમાં 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત
Chitrakoot Award 2024 : મહુવાના તલગાજરડા ખાતે પૂજ્યશ્રી મોરારિ બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં રાજ્યના 35 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
પૂજ્યશ્રી મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, આપણા પાઠ્યક્રમ સાથે જ માનવીય અને સંવેદનના પાઠ ઉમેરવા શીખ આપી અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટેની થઈ રહેલી પ્રક્રિયા પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો. શ્રી મોરારિ બાપુએ માનવ શરીર સાથે પાંચ વિષયો પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિના રૂપકો સાથે આ શરીરને પાઠ્યપુસ્તક સમજી અભ્યાસ કરવા શીખ આપી હતી.

રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે રાજ્યના શ્રેષ્ઠ ગુરૂજનોનું સન્માન થયું છે, ત્યારે શિક્ષાનો મૂળ મંત્ર ગ્રામ્ય જીવનશૈલીમાંથી સત્ય, પ્રેમ અને કરુણા આવે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, ત્યારે શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણથી શાળા અને ગામમાં આમૂલ પરિવર્તન લાવી કાયાપલટ કરી શકે એવી તાકાત ધરાવે છે.
પૂજ્ય શ્રી મોરારિ બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે મહુવાના તલગાજરડા ખાતે ચિત્રકૂટધામ કન્યા શાળાનું લોકાર્પણ સાથે જૂની શાળાને સ્મારક તરીકે અર્પણ કરી કેન્દ્રવર્તી શાળાના 10 રૂમ બાંધકામ માટેનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
આ તકે સીતારામ બાપુ, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, આગેવાન ઘનશ્યામભાઈ પટેલ, સતીષભાઈ પટેલ સહિતના આગેવાનો, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
