પાટણમાં જિલ્લા કક્ષાએ ૪ અને તાલુકા કક્ષાએ 8 શિક્ષકોને સન્માનિત કરાયા!
શિક્ષક દિન નિમિતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં રંગભવન ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
શિક્ષક દિન નિમિતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં રંગભવન ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજયકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા કક્ષાના 12 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. રોટરી કલબ ઓફ પાટણ દ્વારા રંગભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં લોકોએ બહોળી સંખ્યામાં રક્તદાતા બન્યા હતા.
મંત્રી વિનોદ મોરડીયાની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં એવાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ જેઓએ પોતાની આવડત થકી વિદ્યાર્થીઓને ન માત્ર પુસ્તકનું જ્ઞાન આપ્યું. પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓને જીવન ઘડતરમાં પણ મદદરુપ થયા. શિક્ષણ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં જેઓએ વિશિષ્ઠ કામગીરી કરી છે. તેવા શિક્ષકોનું આજરોજ સન્માન કરવામાં આવ્યુ હતુ.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનાં અધ્યક્ષ વિનોદ મોરડીયાએ પાટણને શિક્ષણનું પ્રેરણાસ્રોત ગણાવતા જણાવ્યું કે, પાટણમાં આજના આ શુભ દિવસે આવીને ખરેખર ખુબ ધન્યતા અનુભવી રહ્યો છુ. આજે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે કહી શકાય કે શિક્ષકોની સાથે સાથે સમગ્ર રાજ્ય આજે સન્માનિત થઈ રહ્યુ છે. સરકાર રાજયની વિકાસધારાને સુચારુ રીતે ચલાવી શકે તે માટે એક શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. બાળક શાળામાં પ્રવેશ કરે ત્યારથી ઘરે આવે ત્યાં સુધી માતા-પિતાની સાથે સાથે એક શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. પુસ્તકિયુ જ્ઞાન આપવાની સાથે એક શિક્ષક બાળકના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંત્રીએ રાણકી વાવની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ મકવાણા, નગરપાલિકા પ્રમુખ સ્મિતા પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ સહિત વિવિધ તાલુકાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.