ગુજરાતમાં નો રિપિટ થિયરીને આધારે 60 ટકા ધારાસભ્યોના પત્તા કપાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમની નો રિપિટ ફોર્મ્યુલા માટે જાણીતા છે. આ વખતની ચૂંટણીમાં પણ તેઓ આ ફોર્મ્યુલાને અમલમાં મૂકશે. જો કે આ વખતે આ ફોર્મ્યુલાનો ભોગ નબળી કામગીરી કરનારા ધારાસભ્યોની સાથે જાણીતી માથાઓનો પણ ભોગ લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર 182 બેઠકોમાંથી 60 ટકા બેઠકો પર નરેન્દ્ર મોદી નો રિપિટ થિયરી અમલમાં મૂકી વર્તમાન ધારાસભ્યોના પત્તા કાપશે.
ચૂંટણીના જાણકાર સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીનું માનવું છે કે સરકારના કામથી નારાજ લોકો ધારાસભ્યોને મત નહીં આપે. આ કારણે તેઓ નવા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉભા રાખશે. જેમના પત્તાં કપાવાની શક્યતા છે તેમાં શહેરી વિસ્તારના ધારાસભ્યો પર મોટી કાતર ચાલશે.
આ કાતર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધારે ચાલશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ગુજરાતની ચૂંટણીઓ ખૂબ મહત્વની છે. આ ચૂંટણીમાં તેમના રાજકીય કદની પરીક્ષા થવાની છે. તેના જ આધારે તેમનું રાજકીય ભાવિ પણ નક્કી થશે.