સુરેન્દ્રનગર જિલ્લામાં સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ, 775 બાળકોને લાભ
Surendranagar: સૌ ભણે સૌ આગળ વધેના મંત્ર સાથે તમામને શિક્ષણ આપવા ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન પૂજય અટલ બિહારી બાજપેઇએ વર્ષ 1997માં દેશમાં સર્વ શિક્ષા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાતમાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા ચાર જિલ્લાના અગરિયા કામદારોના બાળકોને ઓક્ટોબરથી એપ્રિલ સુધી શિક્ષણ આપવા સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા દ્વારા વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરે વિધાનસભામાં આપેલા જવાબમાં જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે પેટા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે, કચ્છના અંજારમાં-2 અને ભચાઉમાં-3, મોરબીના હળવદમાં 1 અને માળિયામાં 2, પાટણના સાંતલપુરમાં 10 તેમજ સુરેન્દ્રનગરના પાટડીમાં 20 સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ કાર્યરત છે.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2022-23માં 389 બાળકો, વર્ષ 2023-24માં 386 બાળકો એમ કુલ 775 બાળકોએ આ યોજના હેઠળ શિક્ષણનો લાભ લીધો છે. આ માટે છેલ્લા બે વર્ષમાં અંદાજે કુલ રૂપિયા 4 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાત એસટીની બિન ઉપયોગી બસોમાં નવીન ફ્લોરિંગ, ગ્રીન સોલાર સિસ્ટમ, એલઇડી સ્કીન, ઈન્ટરનેટ, પંખા-લાઇટ, બ્લેક બોર્ડ, ફાયર સિલિન્ડર, લખવાના પેડ તેમજ મધ્યાહન ભોજન સહિતની તમામ સુવિધા અગરિયાના બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ઉમેર્યું હતું કે, બાળકોને ટેકનોલોજી સહિતનું ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે બાયસેગના માધ્યમથી ચાલતી વંદે ભારત ચેનલ તેમજ જી શાળા એપનો પણ લાભ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
