પ્રતિમામાં 85 ટકા તાંબાનો ઉપયોગ તો લોખંડની ઉઘરાણી કેમ? : દિનશા પટેલ
અમદાવાદ, 27 ઓક્ટોબર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર નર્મદા ડેમની નજીક સરદાર પટેલનું યુનિટી ઓફ સ્ટેચ્યુ બનાવવાની જાહેરાત કરી છે. આ માટેનું ખાત મૂહૂર્ત સરદાર પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબર, 2013ના રોજ કરવામાં આવશે તેવી જાહેરાત દેશભરમાં જોશભેર કરવામાં આવી રહી છે.
સરદાર પટેલની ભવ્ય અને વિશ્વમાં સોથી ઊંચી 597 ફૂટ ઊંચાઇની પ્રતિમા તૈયાર કરવા માટે નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારે દેશભરમાંથી લોખંડ એકત્ર કરવાનું આયોજન છે. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ દિનશા પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રતિમા પંચધાતુના મિશ્રણથી બનતી હોય છે અને એમાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવો પડતો હોય છે. આમ છતાં નરેન્દ્ર મોદી આટલું બધું લોખંડ શા માટે ઉઘરાવવાના છે તેની સમજણ પડતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગામેગામથી લોખંડ ઉઘરાવવાની કોઈ જરૂર નથી. તેમની માનીતી કોઈ એક કંપનીને કહેશે તો પણ લોખંડ મળી જશે. આગામી 31 ઓક્ટોબરના રોજ યોજાનારા કાર્યક્રમમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટને કેન્દ્ર સરકારે રૂપિયા 17કરોડનું અનુદાન આપ્યું છે એટલું જ નહીં પણ નિભાવણી ખર્ચ માટે પણ દર વર્ષે રૂપિયા 24 લાખ આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકના વિકાસ માટે રૂપિયા 28.54 કરોડનો ખર્ચ કરાયો છે. બાકીનું ભંડોળ પ્રજા પાસેથી મેળવ્યું છે પણ નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આ ટ્રસ્ટને એક રૂપિયાની પણ મદદ કરી નથી. કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યાં સુધી ટ્રસ્ટને મદદ મળતી હતી.
તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં સરદાર સાહેબનું નિવાસસ્થાન આવેલું છે. આ મકાન સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટને સોંપવા માટે મહાનગર પાલિકા પાસે માગણી કરી હતી અને બિલ્ડિંગ ટ્રસ્ટના નામે કરવા રૂપિયા 1.64 લાખ પણ મહાનગરપાલિકામાં જમા કરાવી દીધા છે. છતાં પણ સરદાર સાહેબનું મકાન ટ્રસ્ટના નામે કરવામાં આવતું નથી. આ સંદર્ભે અમે રજૂઆતો પણ કરી હતી.