બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર ખરાખરીનો રાજકીય જંગ
બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભામાં આ વખતે ભાજપના નેતા અને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા શંકર ચૌધરીની એન્ટ્રીથી આ બેઠક હાઇપ્રોફાઇલ થઇ ગઇ છે. આ બેઠક પર ખરાખરીનો રાજકીય જંગ સર્જાયેલો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભામાં આ વખતે ભાજપના નેતા અને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા શંકર ચૌધરીની એન્ટ્રીથી આ બેઠક હાઇપ્રોફાઇલ થઇ ગઇ છે. આ બેઠક પર ખરાખરીનો રાજકીય જંગ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. પૂર્વ મંત્રી અને વર્તમાનમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ આ બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા રહ્યા છે. પરંતું, સાંસદ બનવાના કારણે આ બેઠક ખાલી થતાં 2019ના વર્ષની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતે આ બેઠક ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલને પરાસ્ત કરીને જીતી લીધી છે.
થરાદ વિધાનસભા બેઠકના રાજકીય સમિકરણની જો વાત કરવામાં આવે તો, આ બેઠક પર પટેલ અને દલિત સમાજના મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં થરાદ અને લાખણી તાલુકાના ગામોના મતદારોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર 1.30 લાખ પુરૂષ મતદારો અને 1.18 લાખ સ્ત્રી મતદારો મળીને કૂલ 2.48 લાખ મતદારોનો સમાવેશ થાય છે. થરાદ વિધાનસભામાં કૂલ 260 મતદાન કેન્દ્રો આવેલા છે.
જો 2022ના રાજકીય સંગ્રામની વાત કરવામાં આવે તો, આ બેઠક પર ભાજપમાંથી પૂર્વમંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી મેદાનમાં છે ત્યારે, કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ઠાકોર સમાજના વિરચંદ ઠાકોરને ટિકિટ આપી છે.