ગાંધીનગર રાજભવન ખાતે 'વિકસિત ભારત@૨૦૪૭-યુવાઓનો અવાજ' વર્કશોપ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે 'વિકસિત ભારત@૨૦૪૭-યુવાઓનો અવાજ' વર્કશોપ પ્રસંગે શિક્ષણ જગત સાથે સંકળાયેલા અગ્રણીઓને આવકારતાં કહ્યું કે, વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા યુવાઓની ભૂમિકા મહત્વની છે ત્યારે યુવાઓના નિર્માણ-ઘડતરમાં શિક્ષકો શિલ્પકારની ભૂમિકા ભજવી રહ્યા છે.

Viksit Bharat@2047

તેમણે ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે, આપણા પૂર્વજોએ અનેક તકલીફો વેઠીને આઝાદી પ્રાપ્ત કરી છે. આપણી સાથે આઝાદ થયેલા દેશોને સારૂ નેતૃત્વ મળ્યુ અને લોકોનો સાથ મળ્યો તેથી જાપાન, ચીન, જર્મની, સિંગાપોર જેવા દેશો વિકસિત દેશો તરીકે પ્રસ્થાપિત થયા છે. ભારત પણ ખુબ મોટી જનસંખ્યા ધરાવતો દેશ છે. જરૂર છે માત્ર એક સંકલ્પ લેવાની, એમ જણાવીને રાજ્યપાલે પ્રધાનમંત્રી મોદીના 'વિકસિત ભારત@૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને આયોજિત વિકસિત ભારત @૨૦૪૭'-યુવાઓનો અવાજ રાષ્ટ્રીય વર્કશોપના ભાગરૂપે ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સભામંડપ, રાજભવન- ગાંધીનગર ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં એક રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ કહ્યું હતું કે, ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ત્યારે શિક્ષણ જગતે આ વિદ્યાર્થી-યુવા શક્તિને વિકસિત ભારત બનાવવા યોગ્ય દિશા આપવાની છે. રાષ્ટ્રનું નિર્માણ એ માત્ર સડકો, ઇમારતો અને ભૌતિક સુવિધાઓથી તૈયાર કરવાથી નથી થતું પરંતુ યુવાનોમાં સંસ્કાર સિંચનથી શક્ય બને છે જેની જવાબદારી શૈક્ષણિક સંસ્થાઓએ નિભાવવાની છે. આદર્શ અધ્યાપકના જીવન પરથી જ યુવા પેઢી- વિદ્યાર્થીઓ પ્રેરણા લેતા હોય છે. તેમણે કુંભારનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, જેમ કુંભાર માટીમાંથી સુંદર ઘડાનું નિર્માણ કરે છે તેમ અધ્યાપકોએ વિદ્યાર્થીઓનું પણ યોગ્ય ઘડતર કરવું પડે છે ત્યારે સારા નાગરિક નિર્માણ કરી શકાય છે. આમ, વડાપ્રધાનએ આ કાર્ય માટે સાચા સમયે સાચા વર્ગની પસંદગી કરી છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ દેશના વિકાસમાં માતૃશક્તિ, યુવા શક્તિ, કિસાન શક્તિ અને ગરીબો એમ ચાર વર્ગને જ મહત્વની ગણાવી છે. અત્યાર સુધી દેશના વિકાસમાં મહિલાઓ મુખ્યધારાથી દૂર હતી પરંતુ વડાપ્રધાનએ મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો કાયદો ઘડીને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપવા સહભાગી બનાવવાની દિશામાં મહત્વનો નિર્ણય
કર્યો છે.
રાજ્યપાલે કહ્યું હતું કે, તમામના સંકલિત પ્રયત્નથી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૦૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. કૃષિ ક્ષેત્રે નારી શક્તિનું પ્રદાન ખૂબ જ મહત્વનું મહત્વનું છે તેને કેન્દ્રસ્થાને રાખીને પ્રથમવાર રાજભવન ખાતેથી ૪,૦૦૦થી વધુ મહિલાઓને પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લેવડાવ્યો છે. તેનાથી રાજ્યમાં સ્વાભાવિક રીતે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે અને ધરતીમાતાને રાસાયણિક ખાતરોથી અને પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકાશે.
રાજ્યપાલે વર્તમાન સશક્ત ભારત અંગે વિસ્તૃત વર્ણન કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશમાં ગરીબ ખૂબ તેજ ગતિથી ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. વિદેશી એજન્સીના અહેવાલ મુજબ ૧૩.૫૦ કરોડ ગરીબ ગરીબીમાંથી બહાર આવી ચૂક્યા છે. એટલું જ નહિ, વર્તમાન સમયમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ ભારત છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિમાં પણ ભારત દેશ ૧૧માં ક્રમેથી હવે પાંચમા ક્રમે આવી ચૂક્યો છે. આપણે વિશ્વની ત્રીજી મહાશક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.
તેમણે નવી શિક્ષણ નીતિને સાંકળીને કહ્યું કે, દૂરદર્શિતા સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં ખૂબ જ અભ્યાસપૂર્વકની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ તૈયાર થઈ છે. જે આવનારી યુવા પેઢીને કૌશલ્ય સાથે શિક્ષણ પૂરું પાડશે. શિક્ષકોને રાષ્ટ્રના નિર્માતા કહેવામાં આવે છે, કેમ કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. વડાપ્રધાનએ જે રાહ ચીંધી છે તે 'વિકસિત ભારત@૨૦૪૭'ની સમજ યુવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેશને વિકસિત બનાવવાના પ્રયત્ન સાથે શિક્ષકો પુનઃ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપશે.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનએ છેલ્લા ૮-૯ વર્ષમાં જે ક્રાંતિ કરી છે તેને પરિણામે સમગ્ર વિશ્વમાં ભારતના નાગરિકોને ખૂબ સન્માન મળી રહ્યું છે. દેશમાં હેલિકોપ્ટરનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે અને કાર્ગોના કારખાના પણ બની ગયા છે. દેશ સમર્થ અને સશક્ત હોય તો દુનિયામાં સન્માન વધે એ સ્વાભાવિક છે ત્યારે ભારતના પ્રત્યેક નાગરિકનું ગૌરવ ગરિમા વર્તમાન સમયમાં વધી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આજે 'વિકસિત ભારત @૨૦૪૭ આઇડિયાઝ પોર્ટલ' લોન્ચ કર્યું છે ત્યારે આ પોર્ટલ થકી પોતાના વિચારો રજૂ કરવા પ્રત્યેક વિચારશીલ નાગરિકો અને ખાસ કરીને યુવાનોને રાજ્યપાલે આહવાન કર્યું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીથી 'વિકસિત ભારત @૨૦૪૭'-યુવાઓનો અવાજ' વર્કશોપના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃતકાળ- ૭૫ વર્ષ નિમિત્તે 'વિકસિત ભારત'નો રોડ મેપ તૈયાર કરવાનું ભારતના યુવાઓને આહ્વાન કર્યું છે ત્યારે ભારતને વિકસિત કરવાનો 'યહી સમય હૈ સહી સમય હૈ'. વિકસિત ભારત એક જન આંદોલન બનશે તો જ આપણે વર્ષ ૨૦૪૭ સુધીમાં લક્ષ્ય સિદ્ધ કરી શકીશું. શિક્ષણ જગત સહિત સમાજના તમામ વર્ગને વિકસિત ભારતના વિમર્શમાં સામેલ કરવા પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં આયોજિત G -20 સમિટ પણ 'વસુધૈવ કુટુમ્બકમ'ની થીમ પર આધારિત હતી જે વિશ્વ એક પરિવારની સાથે સાથે નવા ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું કદમ છે.
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં ભણતર સાથે મૂલ્યોની સમજ પણ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પ્રદર્શિત કરેલ રોડમેપ અને સંકલ્પ વિચારોના આદાન-પ્રદાનથી જ હાંસલ થશે.
આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે ઉપસ્થિત તમામ લોકો અને કાર્યક્રમના માધ્યમથી દેશભરના પ્રત્યેક યુવાનોને પોતાના સામર્થ્ય થકી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, અત્યાર સુધી સમાજવાદ, સામ્યવાદ જેવા વિષયો પર વાત થઇ છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની વાત થઇ રહી છે. દેશને વર્ષ 2047 સુધીમાં 30 થી 35 ટ્રીલીયન ઇકોનોમી બનાવવા માટે રાષ્ટ્ર કૃતનિશ્ચયી છે. સમાજના દરેક વર્ગની સહભાગીતા સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2047 સુધીમાં વિકસીત ભારતનો રોડમેપ મુકાયો છે. જેને હાંસલ કરવા માટે સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રમાં વિકાસ અને સહભાગીતા જરૂરી છે. નવોન્મેષ વિચારોના આદાન પ્રદાનથી જ આ લક્ષ્યની પૂર્તિ થશે.
તેમણે ઉમેર્યું કે,વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપની એક ઇકોસિસ્ટમ બની છે. જ્યાં વિદ્યાર્થીઓના વિચારોને આકાર આપવાનું કામ થઇ રહ્યું છે. ગુજરાત રાજ્ય સ્ટાર્ટઅપમાં શરૂઆતથી જ મોખરે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
મંત્રીએ કહ્યું કે, હાલ ટેકનોલોજીમાં આપણે આયાતકાર છીએ પરંતુ સ્ટાર્ટઅપના પરિણામે સમગ્ર દેશમાં ઉભી થયેલી ઇકોસિસ્ટમથી આગામી દિવસોમાં આપણે નિકાસકાર બનીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પયાત્રા થકી ગામડાઓમાં વસતા સમાજના દરેક વર્ગ સુધી ઘર, પાણી, આરોગ્યને લગતી સહાય પહોંચી રહી છે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ આ પ્રસંગે દેશભરના યુવાઓ અને શિક્ષણવિદોને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પોતાનું મહત્તમ પ્રદાન આપવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'વિકસિત ભારત @૨૦૪૭ આઈડિયાઝ પોર્ટલ'નો નવી દિલ્હીથી શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાની, રાજયની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંચાલકો, શિક્ષણવિદો, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
રાજભવન, ગાંધીનગર ખાતે આયોજિત વર્કશોપમાં 'સશક્ત ભારત' તેમજ 'સુશાસન અને સુરક્ષા' વિષયક ચર્ચા સત્રો યોજાયા હતા.જેમાં વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, શિક્ષણવિદોએ સહભાગી થ‌ઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X