અમદાવાદ, 21 ફેબ્રુઆરી: દિલ્હીમાં પોતાનો પગ જમાવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પણ કાર્યરત બની છે, તેણે ભાજપ વિરુદ્ધ વિવિધ મોરચે વિરોધ શરૂ કરી દીધા છે. 'આપ'એ આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે 'ભાજપના ધન લોભને અને યુવાનોને બેવકૂફ બનાવવાની વૃત્તિની હવે કોઈ સીમા રહી નથી. 1500 તલાટીની જગ્યા માટે 8 લાખ અરજીઓ આવે તે વાત જ સાબિત કરે છે, કે ગુજરાતમાં કેટલી ભયંકર રીતે બેરોજગારી પ્રવર્તી રહી છે. આટલું પુરતું ના હોય તેમ તલાટીની એક એક જગ્યા માટે 10-10 લાખ રૂપીયા ઉઘરાવીને ભાજપના ચુંટણી ફંડ માટે એકઠા કરવાનું ષડયંત્ર પણ હવે બહાર આવ્યું છે. આ વાત બતાવે છે કે ધન સંચય માટે ભાજપ બેરોજગાર યુવાનો સાથે પણ કેવી ક્રૂર મજાક કરી શકે છે.'
આમ આદમી પાર્ટીના સંયોજક સુખદેવ પટેલે જણાવ્યું કે 'સમગ્ર દેશમાં ચુંટણી પ્રચાર માટે ફરી રહેલા અને જુઠ્ઠાણા પર જુઠ્ઠાણા ફેલાવી રહેલા મોદીએ ગુજરાતના યુવાનોને બેવકૂફ બનાવવા માટે નવા નવા રસ્તા ખોળી કાઢ્યા છે. જે અંતર્ગત વિજયશંખનાદ રેલીના નામે કરોડોનું આંધણ કરીને એક લાખ યુવાનોને અમદાવાદ ખાતે ભેગા કરવાનું જે આયોજન થયું છે તે ગુજરાતના લાખો યુવાનોની આંખોમાં ધૂળ નાખવાની ભાજપની વધુ એક નફ્ફટાઈ છે.'