'આપ' નેતા કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાશે?
ભાજપના ભૂતપૂર્વ નેતા અને હાલ આપમાં કાર્યરત એવા કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાય એવી શક્યતા છે.
રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીના એંધાણ વચ્ચે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાતાવરણ ગરમાયું છે. એક તરફ ભાજપની 15 દિવસ લાંબી ગૌરવ યાત્રા છે, બીજી તરફ કોંગ્રેસની ગુજરાત નવસર્જન યાત્રા છે. રાજ્યની ભાજપ સરકાર પણ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો લઇ રહી છે. એવામાં ભૂતપૂર્વ ભાજપ નેતા અને હાલ આમ આદમી પાર્ટીમાં કાર્યરત એવા કનુભાઇ કલસરિયા આપ પાર્ટી છોડે એવી સંભાવના છે. કનુભાઇ કલસરિયા વર્ષ 1997થી 2012 સુધી ભાજપમાં હતા, 2012માં ભાજપ છોડ્યા બાદ વર્ષ 2014માં તેઓ આપ પાર્ટીમાં જોડાયા હતા. હવે કહેવાઇ રહ્યું છે કે, તેઓ આપ પાર્ટી છોડી સદભાવના બેનર હેઠળ મહુવા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે.

વળી કનુભાઇએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. નોંધનીય છે કે, રાહુલ ગાંધી હાલ ચૂંટણી પ્રચાર સંદર્ભે નવસર્જન યાત્રા માટે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન જ કનુભાઇએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. વળી તેમણે મુલાકાત બાદ જો કોંગ્રેસ તેમને ઓફર આપે તો કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી. હવે કનુભાઇ કલસારિયા ખરેખર કોંગ્રેસમાં જોડાય છે કે કેમ, એ જોવું રહ્યું.












Click it and Unblock the Notifications
