Don Latif : 28 વર્ષ પહેલા લાગ્યો ત્રિપલ મર્ડરનો આરોપ, મૃત્યુના 26 વર્ષ બાદ ડોન લતિફ નિર્દોષ જાહેર
Don Latif : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં લગભગ 28 વર્ષ પહેલા થયેલી ત્રિપલ મર્ડરની ઘટના મામલે હાઇકોર્ટે ડોન લતિફ અને તેના સાથી રઉફ કાદર શેખને સાક્ષી અને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ સમક્ષ 164 લોકોએ જુબાની આપી હતી, જે બાદ તેઓ પોતાના નિવેદનોથી ફરી ગયા હતા. જે કારણે સેશન કોર્ટમાં બંનેને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
દરિયાપુરમાં વર્ષ 1995માં પોલીસ બાતમીદાર મોહમ્મદ હનીફ ઉર્ફે મજદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ દિવસે આ ઘટના સાથે જોડાયેલા વધુ બે લોકોના પણ મોત થયા હતા.

આ કેસમાં સેશન્સ કોર્ટે કુખ્યાત ડોન લતીફ અને તેના સાથી રઉફ કાદર શેખને સાક્ષીઓ અને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. પોલીસે આ નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે પુરાવાના અભાવે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે, આ બંને પાસે મળી રહેલી રિવોલ્વર એ સાબિત કરતું નથી કે, તેઓએ હત્યા કરી છે. આ કેસમાં કોર્ટમાં 17 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ 164 હેઠળ સાક્ષીઓ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનથી વિરુદ્ધ થઈ ગયા હતા.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં એક જ પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જે શક્ય નથી, આ સાથે જ એવા કોઈ પુરાવા નથી કે, લતીફ અને રઉફ ઘટના સમયે હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, લતીફ વર્ષ 1997માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં તેની દહેશત હતી. લતીફ ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો. તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 બેઠકો પરથી ચૂંટણી લડ્યો અને જીત્યો હતો.












Click it and Unblock the Notifications
