કપરાડા ખાતે જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ!
વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી તાલુકા તરીકે ગણાતા કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય ખાતેવિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી તાલુકા તરીકે ગણાતા કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય ખાતે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વનબંધુઓએ ઉપસ્થિત રહી બિરસા મુંડાની જય જયકાર, એક તીર, એક કમાન આદિવાસીઓ એક સમાન અને જય આદિવાસીના નારા લગાવતા સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો.
વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવતાં રાજયકક્ષાના મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આપણને સૌને આદિવાસી હોવાનો ગર્વ થાય છે. દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે પણ પ્રથમવાર આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજી બિરાજમાન થયા છે, જે સમસ્ત આદિવાસીઓ માટે ગૌરવની વાત છે. ગુજરાતમાં આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. બે દાયકામાં ગુજરાત સરકારે રસ્તાથી માંડીને સિંચાઇ, આરોગ્ય, વીજળી અને વાહનવ્યવહારની સુવિધા અંતરિયાળ વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવી છે, જેના કારણે આદિવાસી વિસ્તારનો તેજ ગતિએ વિકાસ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આદિવાસીઓના વિકાસ માટે અનેક નિર્ણયો લેવાયા છે. સરકાર તમામ સુવિધા આપવા માટે કટિબધ્ધ છે.
આદિવાસી બાંધવો ઘર બેઠા રોજગારી મેળવી શકે તે માટે સ્કીલ બેઝડ તાલીમ અપાઈ રહી છે. ભણેલા ગણેલાને તો રોજગારી મળે પરંતુ જે અશિક્ષિત હોય તેને પણ તાલીમ આપવાથી તે પણ રોજગારી મેળવી શકે તે પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે.
રાજ્યમાં આદિજાતિ વિકાસયાત્રાની ડોકયુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું. કાર્યક્રમનો શુભારંભ બિરસા મુંડાને દીપપ્રાગટય અને પુષ્પ અર્પણ કરી કરાયો હતો. કન્યા સાક્ષરતા નિવાસી શાળાની વિદ્યાર્થિનીઓએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ શાળા આનંદ નિકેતન, કપરાડાના વિદ્યાર્થીઓએ તેરી મીટ્ટી મે મિલ જાવા....સોંગ પર દેશભક્તિનો લાગણીસભર ડાન્સ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય, બોર્ડર વિલેજ યોજના હેઠળ આવાસ, અનાજ ઉપણવાના પંખા,સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ, કુંવરબાઈનું મામેરુ, વૃદ્ધ પેન્શન, સ્વ સહાય જૂથોને રિવોલ્વીંગ ફંડ, ઓઈલ એન્જિન આપવાની યોજના સહિત વિવિધ 24857 આદિજાતિના લાભાર્થીઓને 7 કરોડની સહાય અને જમીનના હક્ક પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં 29.25 લાખના ખર્ચે થનારા વિકાસના કુલ 13 કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.