Gujarat: ગુજરાત સરકારે 20 જિલ્લાના 7.15 લાખ ખેડૂતોને 1372 કરોડની સહાય ચૂકવી
Gujarat: રાજ્યના અન્નદાતાની ઉન્નતિ એ હરહંમેશથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા આ અનુક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મક્કમતા પૂર્વક જાળવી રાખ્યો છે.
કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતો ઉપર આવતી કોઈપણ સમસ્યામાં સરકાર તેમની પડખે ઊભી છે, તેવો દ્રઢ વિશ્વાસ રાજ્યના ખેડૂતોમાં કેળવાયો છે.
ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદમાં રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આવા કપરા સમયે ખેડૂતોની સંવેદના સમજીને રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતો ફરી વાવેતર કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવણા કરવાનું વચન આપ્યું હતું.
આજે ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા એ વચનને પરિપૂર્ણ કર્યું છે. માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ રાજ્ય આશરે 7.15 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 1372 કરોડથી વધુ સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.

વિગતવાર માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, ગત જુલાઈ માસમાં થયેલા ભારે વરસાદમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત તારીખ 30 ઓગસ્ટથી તારીખ 30 સપ્ટેમ્બર દરમિયાન ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી 1.22 લાખથી વધુ ખેડૂતોને નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની રૂપિયા 42.85 કરોડ સહાયને મળીને કુલ રૂપિયા 187.97 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલા ભારે વરસાદમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરુચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુરને મળી કુલ 20 અસરગ્રસ્ત જિલ્લાઓ માટે પણ ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
ખાસ કૃષિ રાહત પેકેજ માટે ઉપરોક્ત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી પણ તારીખ 25 ઓકટોબરથી તારીખ 10 નવેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી.
જેમાં મળેલી અરજીઓ પૈકી 5.93 લાખથી વધુ ખેડૂતોને પણ નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત વધારાની રૂપિયા 271.15 કરોડ સહાય મળી કુલ રૂપિયા 1184.66 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. માત્ર દોઢ મહિનામાં જ સહાય સીધી બેંક ખાતામાં જમા થતા ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25ના બંને કૃષિ રાહત પેકેજ મળી છેલ્લા પાંચ વર્ષમાં (2020-21થી 2024-25) રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાન અંતર્ગત કુલ 38.98 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂપિયા 6204 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
