અમદાવાદ બન્યું ભારતનું પહેલું 'વર્લ્ડ હેરિટેજ સિટી'!
યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિ દ્વારા અમદાવાદ શહેરને 'વર્લ્ડ હેરિટેજ સિટી' જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા પણ યુનેસ્કોએ ભારતની અનેક ઐતિહાસિક ઇમારતોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે, પરંતુ આ પહેલી વાર ભારતના કોઇ શહેરને વૈશ્વિક વારસો ધરાવતા શહેરની શ્રેણીમાં સ્થાન મળ્યું છે.
વર્લ્ડ હેરિટેજ સિટી: અમદાવાદ
અમદાવાદ શહેરમાં હિંદુ, મુસ્લિમ અને જૈન ધર્મના લોકો સંપથી રહે છે અને એને સંબંધિત અનેક સુંદર ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે. આ કારણે જ યુનેસ્કો દ્વારા અમદાવાદની પસંદગી થઇ છે. યુનેસ્કોએ આ અંગેના ઘોષણાપત્રમાં લખ્યું છે, '15મી સદીમાં સુલતાન અહમદ શાહ દ્વારા વસાવવામાં આવેલ શહેર અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ કિનારે આવેલું છે. આ શહેરમાં આર્કિટેક્ટના સુંદર ઉદાહરણો છે, જેમ કે, ભદ્ર ગઢ, કિલ્લાની દીવાલો અને ગેટ, અહીં આવેલ અનેક મસ્જિદો અને મકબરાઓ, અનેક હિંદુ અને જૈન મંદિરો વગેરે.' યુનેસ્કોની આ પસંદગીને 20 દેશોનું સમર્થન મળ્યું છે.
વર્લ્ડ હેરિટેજ કમિટિની 41મી બેઠક
પોલેન્ડના ક્રાકો શહેરમાં આયોજિત વર્લ્ડ હેરિટેજ કમિટિની 41મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વર્ષ 2011થી અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન આ માટે પ્રયાસો કરી રહ્યું હતું. આ પ્રયાસો આખરે સફળ થયાં છે. 606 વર્ષ જૂના આ શહેરને હવે યુનેસ્કો તરફથી અન્ય હેરિટેજ સિટીને મળતા તમામ લાભ મળશે.
અમદાવાદના ઐતિહાસિક વારસાને મળ્યું સમર્થન
યુનેસ્કોમાં ભારતના રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિ રુચિકા કંબોજે આ જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ખુશી વ્યક્ત કરી હતી. અમદાવાદ શહેરમાં જૈન, હિંદુ અને ઇસ્લામ સમુદાયના અનેક સ્થાપત્ય વારસા આવેલ છે, આ સિવાય મહાત્મ ગાંધીના અહિંસક સ્વતંત્રતા સંગ્રામમાં પણ અમદાવાદની મહત્વની ભૂમિકા છે. આ ઐતિહાસિક મહત્વને યુનેસ્કોએ પણ સમર્થન આપ્યું છે.
અમદાવાદનો સ્થાપત્ય વારસો
અમદાવાદ શહેરનું નામ અહમદાબાદ સુલતાન અહમદ શાહના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હઠીસિંહ જૈન મંદિર, જામા મસ્જિદ, રાણી સિપરી મસ્જિદ, સાબરમતી આશ્રમ, કેલિકો સંગ્રહાલય, ભદ્ર કિલ્લો, સીદી સૈયદની જાળી વગેરે જેવા સ્થળો અમદાવાદના સ્થાપત્ય વારસાને સમૃદ્ધ બનાવે છે.