અમદાવાદ: પરિણીતાનો આરોપ, પતિએ પડાવ્યા 15 લાખ
અમદાવાદના નારણપુરાની પરિણીતાનો બનાવ. 35 વર્ષીય પરિણીત મહિલાએ તેના પતિ પર 15 લાખ રૂપિયા પડાવી લેવાનો આરોપ લગાવ્યો. આ અંગે વધુ વાંચો અહીં.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ શનિવારે મોડી રાતે મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ વિરૂદ્ધ શારિરીક-માનસિક ત્રાસ અને રૂપિયા 15 લાખ પડાવી લેવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી પ્રવિણાબહેન ક્રિશ્ચયન(35) હાલ નારણપુરામાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં તેના માતા-પિતા સાથે રહે છે. તેમના લગ્ન વર્ષ 2005માં જોસેફ ક્રિશ્ર્ચયન સાથે થયા હતા. જોસેફ અમદાવાદના મિરઝાપુરમાં રહે છે. પ્રવિણાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન બાદ તેમના પતિ જોસેફે બાળકનું પ્લાનિંગ મોડેથી કરવાનું કહેવાનું કહ્યું હતું અને જણાવ્યું હતુ કે હાલ તેમની આર્થિક સ્થિતિ પણ સારી નથી. જેથી તેમને પણ નોકરી કરવાની વાત કરી હતી.
ત્યારબાદ પ્રવિણાબહેનને કેનેડામાં નર્સની જોબ કરવા માટે મોકલ્યા હતા. તેઓ પોતાનો પગાર અમદાવાદ મોકલી આપતા હતા અને જોસેફ ખાતરી આપતો હતો કે આ નાણાં તે હાલ પ્રવિણાબહેનના બેંક એકાઉન્ટમાં જ સાચવે છે. પરંતુ ગત વર્ષે પ્રવિણાબહેન અમદાવાદ પરત આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો જમા થયેલો પગાર બેંક એકાઉન્ટમાં નહોતો. આ અંગે જોસેફને પુછતા તેણે જવાબ આપવાના ગલ્લા-તલ્લા કર્યા હતા. આ ઉપરાંત, પ્રવિણાબહેનને માર પણ માર્યો હતો. જેથી કંટાળીને પ્રવિણાબહેન તેના માતા પિતાના ઘરે આવી ગઇ હતી. તેમ છતાં, જોસેફનો ત્રાસ રહેતા તેમણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરી હતી. આ અંગે પ્રવિણાબહેને તેમના બેંક એકાઉન્ટની વિગતો તેમજ અન્ય જરૂરી પુરાવા પણ પોલીસ સ્ટેશનમાં રજુ કર્યા છે. મહિલા પોલીસ અધિકારીનું કહેવું છે કે, આ અંગે ટુંક સમયમાં કાર્યવાહી શરૂ કરીશુ.