અમદાવાદ મેટ્રો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની ટ્રેન દોડાવશે
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સમાચારો અનુસાર, અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન બે વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે.
જીએમઆરસી લિમિટેડના જણાવ્યા અનુસાર, લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેટ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓને નિયમિત સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

આ નિર્ણય અંતર્ગત પુર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બન્ને કોરિડોરમાં બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં પ્રથમ ટ્રેન સવારે ૬:૨૦ કલાકે ઉપડશે અને બીજી ટ્રેન ૬:૪૦ કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના ૭:૦૦ કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ 12 મિનિટના અંતરે કાર્યરત રહેશે.
અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન 12 મિનિટનાં અંતરે સવારે 7 થી રાતના 10 વાગ્યા સુધી હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે.
જણાવી દઈએ કે, આ પહેલા મેટ્રો સેવાઓને સવારે 8 વાગ્યાની જગ્યાએ 7 લાગ્યે શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલ રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો સેવાઓ કાર્યરત રહે છે.












Click it and Unblock the Notifications
