અમદાવાદઃ CAAના સમર્થનમાં મોદીને પત્ર નહિ લખો તો માર્ક્સ નહિ મળે, સ્કૂલની ધમકી
અમદાવાદઃ CAAના સમર્થનમાં મોદીને પત્ર નહિ લખો તો માર્ક્સ નહિ મળે, સ્કૂલની ધમકી
અમદાવાદઃ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટને લઈ દેશભરમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બેંગ્લોરથી લઈ દિલ્હી સુધી આંદોલનો ઉગ્ર બન્યા હતા અને અમદાવાદમાં પણ લોહીયાળ વિરોધ પ્રદર્શનો થયાં હતાં, આ બધું હજી તાજું જ છે ત્યાં અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં આવેલ લિટલ સ્ટાર નામની એક પ્રાઈવેટ સ્કૂલે પોતાના ધોરણ 5થી 10ની વિદ્યાર્થિનીઓ પાસે નાગરિકતા સંશોધન એક્ટને સપોર્ટ કરતા હોય તેવો પત્ર પીએમ મોદીને સંબોધીને લખાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મળેલી માહિતી મુજબ શાળાએ પોતાના સ્ટૂડેન્ટ્સ પાસે "અભિનંદન. હું ભારતનો નાગરિક, CAA બદલ આદરણીય પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું. આ કાયદાને હું અને મારો પરિવાર સમર્થન આપીએ છીએ."
આ મામલે વાલીઓને માલૂમ પડતાં તેમણે બુધવારે સ્કૂલ મેનેજમેન્ટની આ હરકતનો વિરોધ કર્યો હતો. બાદમાં સ્કૂલ મેનેજમેન્ટે ગેરસમજણ થઈ હોવાનું જણાવી માફી માંગી લીધી. પીએમ મોદીને સંબોધીને લખેલા પત્રો પણ વાલીઓને સોંપી દેવામાં આવ્યા, જેમણે આ પત્રો ફાડીને ફેંકી દીધા. વિદ્યાર્થિનીઓના માતા-પિતાએ જણાવ્યા મુજબ મંગળવારે શિક્ષકે બ્લેક બોર્ડ પર મોદીને આભાર વ્યક્ત કરતો એક મેસેજ લખ્યો અને વિદ્યાર્થીઓને આ મેસેજ ટપાલમાં કોપી કરવા કહ્યું. બાદમાં વિદ્યાર્થિનીઓને પીએમ મોદીના આવાસ પીએમઓ, સાથ બ્લોક સેક્રેટ્રિએટ બિલ્ડિંગ, રાયસિના હિલ્સ, નવી દિલ્હી ખાતે આ પત્ર મોકલવાનું કહ્યું સાથે જ પત્રમાં પોતપોતાના ઘરનું સરનામું લખવાનું પણ કહ્યું હતું.
ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ આ મેસેજની ફોટો કોપી આપવામાં આવી હતી અને તેમને પત્ર લખવા કહેવામાં આવ્યું હતું. વાલીઓએ કહ્યું કે "મારી દીકરી છઠ્ઠા ધોરણમાં ભણે છે, મંગળવારે સાંજે આ ઘટના વિશે મને જાણવા મળ્યું કે શિક્ષકોએ આખા ક્લાસને સીએએને સમર્થન કરતા હોય તેવો મેસેજ લખી મોદીનો આભાર વ્યક્ત કરવા કહ્યું. મારી દીકરીને નાગરિકતા એક્ટ શું છે એ વિશે સમજતી નથી. આનો ભાગ બનવા માટે તેના પર દબાણ થઈ રહ્યું છે, જે બિલકુલ સ્વિકાર્ય નથી."
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વાલીઓએ કહ્યું કે, "ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીઓ હાલ ઈન્ટર્નલ પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે. તેમને પણ આ પોસ્ટકાર્ડ લખવા કહ્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો તો તેમને ધમકી આપવામાં આવી કે પોસ્ટકાર્ડ નહિ લખે તેમને ઈન્ટર્નલ પરીક્ષાના માર્ક્સ આપવામાં નહિ આવે. માતા પિતાની મંજૂરી લીધા વિના જ ઘરનું સરનામું પોસ્ટકાર્ડમાં લખવાનો ઉદ્દેશ્ય શું છે."
ઘટનાના વિરોધમાં બુધવારે બપોરે ડઝનેક વાલીઓ સ્કૂલના ટ્રસ્ટીની ઑફિસે વિરોધ નોંધાવવા ગયા. સ્કૂલ મેનેજમેન્ટે ઘટનાને ગેરસમજણ ગણાવીને વાલીઓની માફી માંગી અને તેમને પોસ્ટકાર્ડ પરત સોંપી દીધાં. પછી તેમણે ટ્રસ્ટીની ઑફિસમાં જ આ પોસ્ટકાર્ડ ફાડીને વિરોધ નોંધાવ્યો હતો.
ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા